તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની રીટા રિપોર્ટર કોરોના અંગે જાગૃતિ ફેલાવશે
પ્રિયા આહુજા
સોની સબની ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલની લોકપ્રિયતાથી કોઈ અજાણ નથી. શોનાં દરેક નાનાં-મોટાં પાત્રની પોતાની અલગ ઓળખ હોવાથી એ જાણીતાં બન્યાં છે ત્યારે આવું જ એક પાત્ર રીટા રિપોર્ટર સૌને યાદ હશે. રીટા રિપોર્ટરનું પાત્ર ભજવતી પ્રિયા અહુજા મેટરનિટી લીવ પર હોવાથી ઘણા સમય સુધી શોમાંથી ગાયબ રહી અને હવે તે પાછી ‘કલ તક’ ન્યુઝ ચૅનલ લઈને આવવાની છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ શોમાં કોરોના વાઇરસ વિશે લોકોને જાગૃત કરવાનો એપિસોડ બનાવી રહ્યા છે જેમાં રીટા રિપોર્ટરનું રિપોર્ટિંગ જોવા મળશે. પ્રિયા અહુજા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડિરેક્ટર માલવ રાજદાને પરણી છે અને તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો છે. આ શોમાં દયાબેનનું પાત્ર ભજવતી અભિનેત્રી દિશા વાકાણીએ પણ મેટરનિટી લીવ લીધી હતી, પરંતુ બે વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તે પાછી નથી ફરી. થોડા સમય પહેલાં આ અભિનેત્રી પાછી આવશે કે નહીં એ વિશેની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જોકે દયાબેનની વાપસી હાલ તો અશક્ય લાગે છે.