ઋષિ કપૂરે કર્યો ખુલાસો, ઘટ્યું 26 કિલો વજન અને નથી લાગતી ભૂખ
ઋષિ કપૂર
બોલીવુડ અભિનેતા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. ઋષિ કપૂર છેલ્લા સપ્ટેમ્બરથી ન્યૂયોર્કમાં છે. દરમિયાન તેમની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહી. ક્યારેક શાહરુખ ખાન તો ક્યારેક અર્જુન કપૂર, ઋષિ કપૂરની બીમારીમાં તેની તબિયત જાણવા મળવા જતાં રહેતા. થોડાંક દિવસ પહેલાં જ તે પાછાં ભારત આવવાના છે તેવી ચર્ચા હતી. હવે તેને લઈને ઋષિ કપૂરે પોતે નિવેદન આપ્યું છે. ફિલ્મ ઇંડસ્ટ્રીના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂરે એક મીડિયા એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે આમ તો તેનું કેન્સર મટી ગયું છે પણ હજી પણ તેની સારવાર ચાલું છે.
ઋષિ કપૂરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, "હવે ગેરેન્ટી આપું છું કે મારું કેન્સર મટી ગયું છે. મને ઘરે પાછા જવા માટે થોડાં અઠવાડિયા હજી જોઈશે. વર્ષમાં અથવા છ મહિનામાં એકવાર મને અહીં તપાસ કરાવવા આવવું પડશે. જ્યારે હું પહેલી વાર અહીં આવ્યો ત્યારે મારી માટે બધાં ખૂબ જ દુઃખી હતા. મારી આ મુશ્કેલી વિશે જ્યારે ખબર પડી ત્યારે હું દિલ્હીમાં શૂટિંગ કરી રહ્યો હતો અને મને મારા સફેદ વાળ પર ડાય કરવાની હતી. મને વહેલામાં વહેલી તકે હૉસ્પિટલ જવા માટે કહ્યું. તે સમયે દરેક જગ્યાએ એવી અફવાઓ આવવા લાગી કે મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે રાતોરાત મારા વાળ સફેદ થઈ ગયા."
ADVERTISEMENT
ઋષિ કપૂરે જણાવ્યું કે, "આ વાતને ખોટી પુરવાર કરવા માટે મારા જે પણ મિત્રો મને મળવા આવતાં તેની સાથે હું મારી તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો. જેનાથી બધાંને ખબર પડે કે તે સમયે ઋષિ કપૂર કેવા દેખાય છે. ધીમે ધીમે મારી તબિયત સારી થવા લાગી. તે સમયે મારું વજન એકસાથે 26 કિલો ઘટી ગયું અને શરૂઆતના ચાર મહિના સુધી મને ભૂખ પણ નહોતી લાગતી. પણ હવે મેં સાતથી આઠ કિલો વજન વધાર્યું છે."
આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન
ઋષિ કપૂરને જ્યારે ઘરે પાછા આવવાની વાત પૂછવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, "હું અહીં લગભગ 11 મહિનાથી છું. તો ઑગસ્ટ પૂરું થતાં પહેલા પાછો નહીં જઈ શકું. મેં મારા પહેલા પાંચ અઠવાડિયા પણ નક્કી કરી લીધા છે કે મને ઘરે પાછાં જઈને શું કરવું છે. મને પણ ઘરે જવાની એટલી જ ઉતાવળ છે. મને પાછા ઘરે જઈને મારી ફિલ્મો પૂરી કરવી છે."