વરિષ્ઠ કપલને ગોંધી રાખવા માટે હોટેલની નિંદા કરી રિચા ચઢ્ઢાએ
રિચા ચઢ્ઢા
ગુડગાંવની એક હોટેલમાં વરિષ્ઠ કપલને ગોંધી રાખવા માટે રિચા ચઢ્ઢાએ એમની સોશ્યલ મીડિયામાં ખૂબ ઝાટકણી કાઢી હતી. આ કપલને કોરોના વાઇરસનો રિપોર્ટ નેગેટિવ આવવા છતાં પણ તેમને ઘરે જવાની પરવાનગી હોટેલે આપી નહીં. જોકે મુદ્દો વધુ વધતાં બાદમાં તે કપલને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સંદર્ભે ટ્વિટર પર રિચાએ ટ્વીટ કર્યું હતું કે ‘છેલ્લા પાંચ દિવસથી એક હોટેલમાં બે લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે. ડૉક્ટરે તેમને ઘરે જવાની પરવાનગી આપી છે અને સેલ્ફ ક્વૉરન્ટીનની પણ સલાહ આપી છે. તેઓ ૬૦ વર્ષનાં છે. એમાંથી જે પુરુષ છે તેમને ભારે ડાયાબિટીસ છે. તેમની સુગર વધી રહી છે. તેઓ કેટો-એસિડોસીસમાં ગયા છે અને કદાચ કૉમામાં પણ જઈ શકે છે. જો સમયસર સારવાર ન મળી તો તેમનું મોત પણ થઈ શકે છે. હરિયાણા પોલીસ અને સીએમઓ મહેરબાની કરીને સત્વરે આ દિશામાં ધ્યાન આપો. તમે સર્વિસ ક્ષેત્રમાં છો, હૉસ્પિટલ નથી. જો તેમને કંઈ થયું તો તમારે કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. હવે તેમને બહાર કાઢો. જો તમે તેમને બહાર નહીં જવા દો તો તેમને મેડિકલ અસિસ્ટન્સ તો પૂરું પાડો. હાલમાં તો આ હોટેલના મેડિકલ પ્રોફેશનલ્સ પણ તેમને એક્ઝામિન નથી કરવા માગતાં, કેમ કે તેમને કોરોનાનો ડર છે.’
રિચાનાં આ ટ્વીટ્સ બાદ તે કપલને વહેલાસર સેવા મળી હતી. એ માટે લોકોનો આભાર વ્યક્ત કરતાં ટ્વિટર પર રિચાએ ટ્વીટ કર્યું હતું કે ‘હું દરેક જણનો આભાર માનું છું જેમણે આ દિશામાં ટ્વીટ્સ કર્યું હતું. કોઈ વ્યક્તિએ આ હોટેલમાં પહોંચીને જણાવ્યું કે એ સેન્ટર હવે હોટેલ્સને ફેસિલિટીઝ તરીકે ઉપયોગ કરે છે. સાથે જ એ સિનિયર સિટીઝન્સને પણ મેડિકલ મદદ મળવાની છે. આ બધું એ ટ્વીટ્સ વાઇરલ થવાને કારણે થયું છે. જોકે મારું એમ કહેવું છે કે આ દિશામાં આપણે વિચારવું જોઈએ. મને તો દરેક વસ્તુઓ મળી રહે છે. મારી પાસે ટેક્નૉલૉજી, સગાં-સંબંધીઓ, સોશ્યલ મીડિયાનો પ્રભાવ જેવી ઘણી સુવિધાઓ છે. જોકે સામાન્ય લોકોની શી વલે થતી હશે. અમારી જ આવી સ્થિતિ છે તો તેમનું શું થતું હશે. ટ્વિટરનો પણ આભાર. એવું લાગે છે કે સંકટની આ ઘડીમાં પ્રાર્થનાઓ સાંભળવામાં આવી છે.’