અડધી રાતે પોતાની ફૅમિલી સાથે ઘર છોડીને ભાગી ગઈ હતી રિયા
રિયા ચક્રવર્તી થોડા દિવસ અગાઉ તેની ફૅમિલી સાથે મધરાતે ઘર છોડીને ચાલી ગઈ હતી. તે ઘણા દિવસથી ગાયબ છે. સુશાંતના સુસાઇડના કેસમાં બિહાર પોલીસ મુંબઈમાં તપાસ કરવા આવી છે. આથી રિયા તેમની સામે નથી આવી રહી. પોલીસ પણ આ કેસને ઉકેલવા માટે રિયાની મદદની આશા રાખી રહી છે. તેમના મુજબ સુશાંતની સુસાઇડ સાથે જોડાયેલા એવા ઘણા પહેલુઓ હશે જેના પર રિયા પ્રકાશ પાડે તો કેસ ઉકેલી શકાશે. રિયા જે બિલ્ડિંગમાં રહે છે ત્યાંના સુપરવાઇઝર મુજબ રિયા તેની ફૅમિલી સાથે બ્લુ કારમાં મોટી સૂટકેસિસ સાથે નીકળી ગઈ છે.
પરંતુ, રિયા ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ જણાવ્યું છે કે તે કંઈ છુપાઈ નથી ગઈ. સુશાંતના કેસમાં હજી સુધી બિહાર પોલીસ દ્વારા કોઈ સમન્સ નથી આપવામાં આવ્યા એવું તેના વકીલનું કહેવું છે. બિહાર પોલીસ તેના ઘરે પણ ગઈ હતી, પરંતુ ત્યાં રિયાનો કોઈ અતોપતો નહોતો. ઘણા સમયથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રિયા ગાયબ થઈ ગઈ છે. એ સંદર્ભે સતીશ માનેશિંદેએ કહ્યું હતું કે ‘બિહાર પોલીસનું એમ કહેવું કે રિયા ચક્રવર્તી ગાયબ છે એ યોગ્ય નથી. હજી સુધી તેને બિહાર પોલીસ તરફથી કોઈ નોટિસ કે સમન્સ નથી મળ્યા. મુંબઈ પોલીસે રિયાનું નિવેદન નોંધી લીધું છે. તેણે હંમેશાં પોલીસને સહયોગ કર્યો છે. મામલાની તપાસનો અધિકાર બિહાર પોલીસ પાસે નથી અને એથી રિયાએ સુપ્રીમ કોર્ટમાં કેસ ટ્રાન્સફર માટે અરજી પણ દાખલ કરી છે.’