સુશાંતને યાદ કરીને ૮ જુલાઈએ ગીતને રિલીઝ કરશે અરમાન
સુશાંત સિંહ રાજપૂતના માન ખાતર ગીત ‘ઝરા ઠહરો’ને સિંગર અરમાન મલિક 8 જુલાઈએ રિલીઝ કરશે. આ ગીત ગઈ કાલે રિલીઝ થવાનું હતું, પરંતુ સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’નું ટ્રેલર રિલીઝ થવાનું હોવાથી તેણે ગીતને લૉન્ચ નહોતું કર્યું. આ કારણસર ગીતને 8 જુલાઈએ પોસ્ટપોન કરવામાં આવ્યું છે. ગીત ‘ઝરા ઠહરો’ વિશે ટ્વિટર પર અરમાન મલિકે એક પોસ્ટ શૅર કરી હતી કે ‘મને જાણ થઈ છે કે ‘દિલ બેચારા’નું ટ્રેલર 6 જુલાઈએ રિલીઝ થવાનું હતું, એથી સુશાંત સિંહ રાજપૂત પ્રતિ સન્માન દર્શાવતાં અમારી ટીમે સાથે મળીને નક્કી કર્યું છે કે અમારું આવનારું સિંગલ ‘ઝરા ઠહરો’ને અમે 8 જુલાઈએ રિલીઝ કરીશું. તમારા ધૈર્ય માટે આભાર.’
આ પોસ્ટને ટ્વિટર પર શૅર કરીને અરમાન મલિકે ટ્વીટ કર્યું હતું કે ‘સુશાંતને ઑફસ્ક્રીન અને ઑનસ્ક્રીન જોવો હંમેશાંથી ખુશી આપે છે. તેને ગુમાવવો મારા માટે વ્યક્તિગત નુકસાન છે. તેની ‘દિલ બેચારા’નું ટ્રેલર જોઈને તેની ટૅલન્ટને, તેના ઉત્સાહને અને અન્ય ક્વૉલિટીઝને અને સૌથી અગત્યનું તેને સેલિબ્રેટ કરીએ.’