રણબીર કપૂર અને દીપિકા પાદુકોણે એક સીન માટે આપવા પડ્યા ૧૧ રીટેક
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હાલમાં ડિરેક્ટર અયાન મુખરજીની ‘યે જવાની હૈ દીવાની’માં સાથે કામ કરી રહ્યાં છે. તાજેતરમાં આ ફિલ્મના શૂટિંગ વખતે એક સીન માટે તેમણે અયાનના પર્ફેક્શનના આગ્રહને કારણે ૧૧ રીટેક આપવા પડ્યા હતા. વારંવાર આટલીબધી વાર રીટેક આપવાના ડિરેક્ટરના આગ્રહને કારણે એક તબક્કે તો રણબીર અને દીપિકા બન્ને અકળાઈ ઊઠ્યાં હતાં, કારણ કે તેઓ સ્પૉન્ટેનિયસ ઍક્ટર છે અને તેમને લાગે છે કે જેમ રીટેક વધે એમ તેમનો અભિનય સુધરવાને બદલે વધુ બગડે છે. ‘યે જવાની હૈ દીવાની’ના સેટ પર અયાનનો પર્ફેક્શનનો આગ્રહ ફિલ્મના તમામ કલાકાર અને કસબીઓ માટે માથાનો દુખાવો સાબિત થયો છે.
આ ફિલ્મના લોકેશનમાં પણ વારંવાર ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફિલ્મનું અત્યારસુધી મનાલી, રાજસ્થાન અને મુંબઈમાં શૂટિંગ થયું છે અને હવે આગામી શેડ્યુલમાં ફ્રાન્સમાં શૂટિંગ કરવાનું પ્લાનિંગ છે. મળતી માહિતી પ્રમાણે હજી આ ફિલ્મનું ૪૦ ટકા શૂટિંગ બાકી છે.