31 વર્ષ પછી ફરી સાથે જોવા મળશે રામ, સીતા અને લક્ષ્મણ
‘ધી કપિલ શર્મા શો’માં રામ, સીતા અને લક્ષ્મણ
૧૯૮૯માં દૂરદર્શન પર આવેલી ‘રામાયણ’ આજે પણ દેશની સૌથી પૉપ્યુલર સિરીઝમાંની એક છે. અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયા અને સુનીલ લહેરી સ્ટારર ‘રામાયણ’ આજે પણ યુટ્યુબ પર એટલી જ જોવાઈ રહી છે. આ સિરિયલ પછી રામાયણની આ સ્ટારકાસ્ટ ભગવાનની જેમ પૂજાતી હતી અને અરુણ ગોવિલ, દીપિકા ચિખલિયાના નામની માનતા લેવાતી હતી. એ શો પછી આ ત્રણ ઍક્ટરે ક્યારેય કામ નહોતું કર્યું અને એટલે ક્યારેય તેઓ એક સ્ક્રીન પર જોવા નહોતાં મળ્યાં, પણ હવે આ તક ૩૧ વર્ષ પછી ‘ધી કપિલ શર્મા શો’માં ફરીથી ઊભી થઈ અને ત્રણેય ઍક્ટર સાથે કપિલ શર્માના શોમાં આવ્યા. જેમ આ ઘટના પહેલી વાર બની એવી જ રીતે પહેલી વાર બની રહ્યું છે કે અન્ય ચૅનલના આર્ટિસ્ટને બીજી કોઈ ચૅનલ પ્લૅટફૉર્મ આપી રહી હોય. ‘રામાયણ’ દૂરદર્શનની સિરિયલ હોવા છતાં સોની ટીવીએ એને સ્ટેજ આપ્યું એની પાછળનું કારણ પણ ‘રામાયણ’ના આ ત્રણ ઍક્ટરની પૉપ્યુલરિટી છે.
‘રામાયણ’ની સક્સેસ પછી અરુણ ગોવિલ, સુનીલ લહેરી કે દીપિકા ચિખલિયાએ બીજું કોઈ ખાસ નોંધનીય કામ નહોતું કર્યું એ પણ એટલું જ સાચું છે, તો એ પણ સાચું છે કે આ કલાકારો સહિત અનેક કલાકારો અને ટેક્નિશ્યનોએ ‘રામાયણ’ના શૂટિંગ દરમ્યાન જ પોતાનાં તમામ વ્યસન પણ છોડી દીધાં હતાં.