શાકાહારી બનીને ખુશ છે રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહને શાકાહારી બનવામાં ખુશી મળી છે. તેનું એમ પણ માનવું છે કે વીગન બનીને તે હળવાશ અનુભવી રહી છે. તે પીપલ ફૉર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સની ‘ટ્રાય વીગન’ કૅમ્પેનમાં જોડાઈ ગઈ છે. શાકાહારી બનવા વિશે રકુલે કહ્યું હતું કે ‘શાકાહારી બનવાનો મારો નિર્ણય મેં ખૂબ સમજી વિચારીને લીધો હતો. મેં જ્યારે પર્યાવરણને થનારા નુકસાન વિશે સાંભળ્યું કે એનાથી અનેક પશુઓની હત્યા કરવામાં આવે છે, એ મુક્તપણે મેદાનમાં દોડી શકતાં નથી, એ ડરમાં જીવે છે, આ બધું એમના મીટમાં પણ આવી જાય છે અને આપણે એમ વિચારીએ છીએ કે એમાં હાઈ પ્રોટીન છે. આપણે ખૂબ સ્વાદ લઈને એને ખાઈએ છીએ. હું જ્યારે શાકાહારી બની ગઈ તો મને ખૂબ હળવાશનો અનુભવ થયો હતો. મને એવું લાગ્યું કે મારું એનર્જી લેવલ વધી ગયું છે. હું જ્યાં સુધી શાકાહારી ન બની ત્યાં સુધી મને એનો અંદાજો ન આવ્યો. હવે મને લાગે છે કે શાકાહાર સારો છે, જેનું સરળતાથી પાચન થાય છે. એ ખોરાક પેટમાં ભારી નથી થતો, એથી એના અનેક લાભ છે. હું એટલું જરૂર કહીશ કે તમે પણ એને અજમાવો. એના માટે તમારી જાતને 15થી 20 દિવસનો સમય આપો, તમને પોતાને બદલાવ દેખાશે. આ પર્યાવરણ માટે, તમારા માટે અને પશુઓ માટે પણ ફાયદાકારક છે.’