પંજાબી સિંગર સરદૂલ સિકંદરનું ૬૦ વર્ષે થયું મૃત્યુ
પંજાબી સિંગર સરદૂલ સિકંદરનું ૬૦ વર્ષે થયું મૃત્યુ
પંજાબી સિંગર સરદૂલ સિકંદરનું લાંબી માંદગી બાદ ૬૦ વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ પંજાબના મોહાલીમાં ૧૯ જાન્યુઆરીથી હૉસ્પિટલમાં દાખલ હતા. તેમનું ઑક્સિજન લેવલ ઘટી જવાથી ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડાયાબિટીઝ હતી અને તેમને કોરોનાનું પણ સંક્રમણ લાગ્યું હતું. તેમણે કેટલીક પંજાબી ફિલ્મોમાં કામ પણ કર્યું હતું. તેમના પરિવારમાં તેમની વાઇફ અને બે દીકરાઓ સારંગ અને આલાપ છે. સરદૂલ સિકંદરની આર્થિક સ્થિતિ પણ સારી નથી. આ જ કારણ છે કે પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે જાહેરાત કરી હતી કે તેમનું ૧૦ લાખ રૂપિયાનું બિલ સરકાર ચૂકવશે. તેમણે પણ સરદૂલના નિધનને સંગીત જગત માટે એક મોટું નુકસાન જણાવ્યું છે. સાથે જ કેટલીક સેલિબ્રિટીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે.
ખૂબ જ દુ:ખના સમાચાર છે કે સરદૂલ સાહેબ હવે આપણી વચ્ચે નથી રહ્યા. ફૅમિલી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી માટે આ એક મોટુ નુકસાન છે.
- દલેર મેહંદી
આ ખરેખર ખૂબ જ દુ:ખદાયક સમાચાર છે. તેમનું ગીત સાંભળીને તો સામાન્ય વ્યક્તિ પણ સૂરમાં આવી જતો હતો. હું ખુશનસીબ છું કે ભાઈ, મારી પહેલી દીકરીની પહેલી લોહરી વખતે અમારા ઘરે આવ્યા હતા. અમે ખૂબ ખુશ હતા. જોકે એ જાણ નહોતી કે એ મુલાકાત અંતિમ હશે. પાજી, તમે ખૂબ યાદ આવશો. ઈશ્વર તેમનાં ચરણોમાં તમને સ્થાન આપે.
- કપિલ શર્મા