તામિલનાડુમાં પિતા-પુત્રનાં કસ્ટડીમાં થયેલાં મોત પર પ્રિયંકાનો આક્રોશ
તામિલનાડુમાં જેલ-કસ્ટડીમાં થયેલી મારપીટમાં પિતા-પુત્રનું નિધન થતાં પ્રિયંકા ચોપડા જોનસે ગુસ્સો દર્શાવ્યો છે. પિતા-પુત્રનો દોષ માત્ર એટલો હતો કે તેમણે તામિલનાડુના તુતિકોરિન જિલ્લામાં લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું એથી પોલીસે તેમની ધરપકડ કરી હતી. કસ્ટડીમાં કથિત રૂપે તેમની સાથે થયેલી મારપીટથી તેમનાં મૃત્યુ થયાં હતાં.
આ ઘટનાને લઈને ટ્વિટર પર પ્રિયંકાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં જેકાંઈ સાંભળ્યુ એનાથી હચમચી ગઈ છું. ખૂબ દુખી અને ગુસ્સામાં છું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો અપરાધ કરે તો પણ આ પ્રકારની હિંસાને લાયક નથી. આ ઘટનામાં દોષીઓને સજા થવી જોઈએ. વાસ્તવિકતા જાણવી જરૂરી છે. હું કલ્પના પણ નથી કરી શકતી કે તેમની ફૅમિલી હાલમાં કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી હશે. તેમને આ સમયે શક્તિ મળે. તેમની સાથે મારી પ્રાર્થના છે. તેમને ન્યાય આપવા માટે આપણે સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ.’