કબીર સિંહની પ્રશંસા કરતાં એને એક આર્ટ જણાવી જાહ્નવી કપૂરે
જાહ્નવી કપૂરે ‘કબીર સિંહ’ની ભારોભાર પ્રશંસા કરતાં એને કળાનો જ એક ભાગ જણાવી હતી. શાહિદ કપૂરની આ ફિલ્મમાં કિયારા અડવાણી પણ જોવા મળી હતી. આ ફિલ્મ તેલુગુ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રીમેક હતી. આ ફિલ્મને કેટલાક લોકોએ ખૂબ પસંદ કરી હતી તો કેટલાક લોકોએ એને વખોડી કાઢી હતી. જોકે એ ફિલ્મને કળા જણાવતાં જાહ્નવી કપૂરે કહ્યું હતું કે ‘આ એક આર્ટ છે. એવું જરૂરી નથી કે સમાજની અપેક્ષાઓ મુજબ જ ફિલ્મો બનાવવામાં આવે, શું સાચું અને શું ખોટું છે એ દેખાડવામાં આવે. એ તો એક ગ્રે કૅરૅક્ટર છે. જો તમે માત્ર સ્વચ્છ, સમાજની પસંદ મુજબ ફિલ્મો બનાવો તો કળાનો કોઈ અર્થ નથી બનતો. મને નથી લાગતું કે એ કૅરૅક્ટરમાં કંઈ ખોટું હોય. જો તમે કળા પર ફિલ્ટર લગાવો તો એનો આત્મા નહીં રહે. કળા કદાચ તમને અનકમ્ફર્ટેબલ બનાવે. એના દ્વારા કોઈ ચોક્કસ વિષય પર ચર્ચા શરૂ થશે. આવી ફિલ્મોનો એ જ ઉદ્દેશ હોય છે. શું એ ખોટું નહીં કહેવાય કે તમે ફિલ્મ જુઓ અને બહાર ચાલ્યા જાઓ? એવી ફિલ્મો લોકોને હચમચાવી નાખે છે તો કેટલાક લોકોને ગમે છે અને કેટલાક લોકોને નથી ગમતી. એ જ કળા છે.’