સુશાંત સિંહ રાજપુતની બિલ્ડિંગનું CCTV ફૂટેજ પોલીસે તાબામાં લીધું
સુશાંત સિંહ રાજપુતે 14 જૂને આત્મહત્યા કરી હતી
અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના દરેક પાસાની તપાસ મુંબઈ પોલીસ બહુ બારીકાઈથી કરી રહી છે. અભિનેતાની આત્મહત્યાના કેસની તપાસના ભાગરૂપે પોલીસે મંગળવારે સુશાંતની બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ તાબામાં લીધુ છે. એટલું જ નહીં બાંદ્રા પોલીસે એમ પણ કહ્યું છે કે, અભિનેતાના ટ્વીટર હેન્ડલ પરથી કથિત ટ્વીટ શૅર કરવામાં આવી રહ્યાં છે તે બાબતે ટ્વીટરના નોડેલ ઓફિસર કિરણ દિઘાવકરના રિપ્લાયની રાહ જોઈ રહ્યાં છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, મુંબઈ પોલીસના ઝૉન 9ના DSP અભિષેક ત્રિમુખે આપેલી માહિતી પ્રમાણે અભિનેતા સુશાંત સિંહ રાજપુત બાંદ્રા પશ્ચિમની જે બિલ્ડિંગમાં રહેતો હતો તેના CCTV ફૂટેજ તાબામાં લેવામાં આવ્યા છે. અભિનેતાના ઘરમાં કોઈ CCTV કૅમેરો નહોતો.
ADVERTISEMENT
સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના કેસમાં પોલીસ ટ્વીટરના નોડેલ ઓફિસર કિરણ દિઘાવકરના રિપ્લાયની રાહ જોઈ રહ્યાં છે. અભિનેતા નિધન પછીથી જ ફૅન્સ સોશ્યલ મીડિયા પર CBI તપાસની માંગણી કરી રહ્યાં છે. ફક્ત ફ઼ન્સ જ નહીં બૉલીવુડના કેટલાક કલાકારો પણ ઈચ્છે છે કે આ કેસની CBI તપાસ થાય. રૂપા ગાંગુલી, શેખર સુમન અને અન્ય સેલેબ્ઝે પણ તપાસની માંગણી કરી છે.
તમને જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. આ કેસની પોલીસ તપાસ ચાલી છે. અત્યાર સુધીમાં સુશાંતના પરિવારના સભ્યોની સાથે બૉલીવુડના અનેક લોકોની મુંબઈ પોલીસે પુછપરછ કરી છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપુતના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ ફરી એકવાર જોર પકડયું છે.