આ શનિનું કંઈક કરોને મહારાજ
દયાશંકર પાંડે
દંગલ ટીવી પર ફરીથી શરૂ કરવામાં આવેલા શો ‘મહિમા શનિદેવ કી’માં શનિ દેવનું લીડ કૅરૅક્ટર કરનાર દયાશંકર પાંડે સ્વીકારે છે કે એ સમયે તેમને જેટલો રિસ્પૉન્સ નહોતો મળ્યો એટલો રિસ્પૉન્સ સિરિયલ ફરીથી શરૂ કરવામાં આવી ત્યારે મળી રહ્યો છે. દયાશંકર કહે છે, ‘શનિદેવના કૅરૅક્ટરે મારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી નાખ્યો છે. હું માનું છું કે તમે જેવું કરશો એવું જ
તમને રિટર્નમાં મળશે અને તમારે એ ભોગવવું જ પડશે. સારા કર્મનું પરિણામ શુભ આવશે અને ખરાબ કૃત્યનું પરિણામ ખરાબ જોવું પડશે.’
દયાશંકર શૂટિંગના દિવસોને યાદ કરતાં કહે છે, ‘એ સમયે લોકો મારી પાસે આવતા અને કહેતા કે મારા માથે શનિની સાડાસાતી ચાલે છે એ દૂર કરી દો, તો કોઈ આવીને એવું પણ કહેતું કે મારા શનિને વધારે સારો બનાવી દો. આ તેમની શનિ પ્રત્યેની શ્રદ્ધા હતી તો કૅરૅક્ટર માટેનો વિશ્વાસ છે. આવું બને ત્યારે તમને મહેનત લેખે લાગી હોય એવો અનુભવ થાય.’
શનિદેવના જીવન પર આધારિત આ સિરિયલની સેકન્ડ સીઝન પર પણ કામ શરૂ થયું છે.