લોકો મારી જિમની શૉર્ટ્સને નહીં,પરંતુ મારી ફિલ્મોની ચર્ચા કરે:જાહ્ન્વી
જાહ્ન્વી કપૂરનું કહેવું છે કે લોકો તેની ફિલ્મોની ચર્ચા કરે, ન કે તેની જિમની શૉર્ટ્સની. તેણે ‘ધડક’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તે ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’, ‘રૂહી અફઝા’ અને ‘તખ્ત’માં જોવા મળવાની છે. તેને પૂછવામાં આવ્યું હતું કે લોકો તેના સોશ્યલ મીડિયા લુક, ઍરપોર્ટ લુક અને જિમ લુકને લઈને ચર્ચા કરતા હોય છે. શું એનાથી તે કંટાળી જાય છે? એવું પૂછવામાં આવતાં જાહ્ન્વીએ કહ્યું હતું કે ‘ખરું કહું તો નહીં. આ મારા માટે ખૂબ મજેદાર છે, કારણ કે ‘ધડક’ બાદ લોકો મારી પાસે આવીને કહેતા હતા કે અમને તારી પહેલી ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. તો એમાંના કેટલાક એવા પણ હતા જે કહેતા હતા કે તેઓ મારા જિમ લુકનું અનુકરણ કરે છે. એથી એવું લાગે છે કે મારી ઓળખ ‘ધડક’ અને મારા જિમ લુકને કારણે છે. આ થોડું વિચિત્ર છે, પરંતુ હું તેમને દોષ નથી આપતી. મારી ફિલ્મો હજી સુધી રિલીઝ નથી થઈ. હું હજી સુધી કામ જ કરી રહી છું. આશા રાખું છું ફિલ્મો રિલીઝ થાય પછી લોકો મારી જિમની શૉર્ટ્સની નહીં, પરંતુ મારી ફિલ્મો વિશે ચર્ચા કરશે.’