લૉકડાઉનનો ફાયદો ઉઠાવતાં પોતાની અંદરના લેખકને જગાડે છે પંકજ ત્રિપાઠી
દેશભરમાં લૉકડાઉન હોવાથી પંકજ ત્રિપાઠી પોતાની અંદરના રાઇટરની ખૂબીને નિખારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આજે દરેક કલાકાર હોય કે સામાન્ય માણસ હોય, તેઓ પોતાના ઘરમાં બેઠા છે. આ ખાલી સમયનો સદુપયોગ કરતાં સૌકોઈ પોતાની અંદરની કળાને બહાર લાવી રહ્યા છે. એવામાં પોતાની રાઇટિંગ સ્કિલ્સ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કલાકારો હંમેશાંથી જ રાઇટિંગ સાથે સંકળાયેલા હોય છે. એવા પ્રોજેક્ટસ સાથે પણ જેમાં તેઓ માત્ર ઍક્ટિંગ જ કરતા હોય છે. એક કલાકાર તરીકે અમારા લેખકની વાતને અમે અમારી બૉડી-લૅન્ગ્વેજ દ્વારા દર્શકો સાથે સંવાદ કરીએ છીએ. તેમની લાગણીઓને સ્ક્રીન પર દેખાડીએ છીએ. રાઇટિંગ એ મારી ક્રીએટિવિટીનો જ એક ભાગ છે. સ્ક્રીનપ્લે લખવાનો મારો કોઈ ઇરાદો નથી. મારી લખવાની કળાને કુશળ બનાવવા માટે મારા વિચારોને લખવાનું મેં શરૂ કર્યું છે. મારા માટે રાઇટિંગ અને ઍક્ટિંગ એકબીજા સાથે જોડાયેલાં છે. હું માત્ર મારી રાઇટિંગની ઇચ્છાને પૂરી કરવા માટે લખું છું. હવે એ જોવું રહ્યું કે મારું લખેલું છેલ્લે કેવું લાગે છે. જો એનાથી મને સંતુષ્ટિ મળી તો હું વિચારીશ કે એનું હું શું કરી શકું છું.’