અતિશય માનસિક આઘાતમાંથી પસાર થવા છતાં પણ મહિલાઓ કેમ શાંત રહે છે? : પંકજ
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે મહિલાઓ કેમ અતિશય માનસિક ત્રાસમાંથી પસાર થવા છતાં પણ અવાજ નથી ઉઠાવતી. પંકજ ત્રિપાઠીની વેબ-સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ : બિહાઇન્ડ ક્લોઝ્ડ ડોર્સ’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. એમાં તે વકીલ માધવ મિશ્રાના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જેમાં અનુ ચન્દ્રા તેના હસબન્ડની હત્યા કરે છે. જોકે એ ઘટનામાં વકીલને કંઈ કાચું કપાયું હોય એવો અહેસાસ થાય છે. તેને લાગે છે કે હત્યા કરનાર ઘરેલુ હિંસાથી પીડાતી હશે. એથી તેણે આવું પગલું ભર્યું છે. પોતાના આ કૅરૅક્ટરને ધ્યાનમાં રાખીને જ પંકજને લાગે છે કે મહિલાઓ ચૂપ કેમ રહે છે. એ વિશે વધુ જણાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મને એ ખબર નથી પડતી કે મહિલાઓ જ્યારે પોતાની પર્સનલ લાઇફમાં અતિશય ત્રાસમાંથી પસાર થતી હોય છે તો પણ તે કેમ ચૂપ રહે છે? તેમને જ્યારે પોતાની સમસ્યા વિશે પૂછવામાં આવે છે તો તેઓ મોં સીવી લે છે. મને એ સમજમાં નથી આવતું કે એને કઈ રીતે ઉકેલવામાં આવે. જોકે આ વસ્તુ આજે પણ આપણા સમાજમાં દેખાય છે. આપણે ભલે વિકસિત શહેરોમાં રહેતા હોઈએ, પરંતુ સમાજના કેટલાક વર્ગમાં આજે પણ મહિલાઓને પોતાની સમસ્યા વિશે બોલવાની આઝાદી નથી.’