હમારીવાલી ગુડ ન્યુઝના સેટ પર જુહી પરમારથી કેમ ડરતી હતી સૃષ્ટિ જૈન
સૃષ્ટિ જૈન અને જુહી પરમારથી
ઝીટીવી પર આવતા શો ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ના સેટ પર જુહી પરમારથી સૃષ્ટિ જૈન ખૂબ ડરતી હતી. હાલમાં તહેવારો નજીક આવી રહ્યા છે એમ શોમાં પણ સ્ટોરીલાઇન ચેન્જ થવા માંડી છે. આ તહેવારને લઈને આ શોમાં સાસ-બહૂના રિલેશન કેવાં હોય એના પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. આ શોમાં સૃષ્ટિએ નવ્યા તિવારીનું પાત્ર ભજવ્યું છે, જ્યારે જુહી પરમારે તેની સાસુ રેણુકાનું. આ વિશે સૃષ્ટિએ કહ્યું કે ‘જુહી એક અદ્ભુત ઍક્ટર છે અને મેં મારા કરીઅરની શરૂઆત કરી એ પહેલાંથી હું તેને ફૉલો કરું છું. તેઓ જ્યારે આ શોનો પાર્ટ બનવાનાં છે એની મને જાણ થઈ ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. હું તેમને કોઈ દિવસ નહોતી મળી. અમે પહેલી વાર પ્રોમો શૂટ દરમ્યાન મળ્યાં હતાં. તેમનું ખૂબ મોટું નામ છે. તેમની સાથે કામ કરવાને લઈને હું ખૂબ ડરી રહી હતી. મારે પણ મારો બેસ્ટ પર્ફોર્મન્સ આપવો પડશે એવી અસમંજસમાં હું જીવી રહી હતી. હું તેમને પહેલી વાર જ્યારે મળી હતી ત્યારે બોલી પણ નહોતી શકી. જોકે તેમણે એક મિત્રની જેમ મને આવકારી હતી. અમે ત્યાર બાદ ઘણી વાતો કરી હતી. ત્યાર બાદ અમારું બૉન્ડિંગ સારું બનતું ગયું હતું, ખાસ કરીને ફૂડને લઈને. તેઓ ખૂબ નમ્ર વ્યક્તિ છે.’
આ વિશે જુહીએ કહ્યું કે ‘અમે જ્યારે પહેલી વાર મળ્યાં હતાં ત્યારે સૃષ્ટિના ચહેરા પર મોટી સ્માઇલ હતી. મને તરત જ ખબર પડી ગઈ હતી કે તે એકદમ જેન્યુન વ્યક્તિ છે. કેટલીક વાર ઍક્ટરનનો તાલમેલ બેસતાં વાર લાગે છે, કારણ કે સામેની વ્યક્તિ કેવી રીતે રીઍક્ટ કરશે એની ખબર નથી હોતી. જોકે અમારો તાલમેલ તરત જ બેસી ગયો હતો અને અમે હવે સારા મિત્રો પણ છીએ.’