બર્થ-ડે હોવાથી પાંઉભાજી અને ખીર બનાવી વિક્રાન્ત મેસીએ
વિક્રાન્ત મેસીએ ગઈ કાલે પોતાના બર્થ-ડે નિમિત્તે ઘરે રહીને પાંઉભાજી અને ખીર બનાવી હતી. દેશમાં લૉકડાઉન હોવાથી તેણે ઘરે તેની મમ્મી અને ફિયાન્સી શીતલ ઠાકુર સાથે ૩૩મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. એ વિશે વિક્રાન્તે કહ્યું હતું કે ‘છેલ્લાં છથી સાત વર્ષથી હું મારો બર્થ-ડે સેટ પર જ મનાવું છું. ૨૦૧૮થી હું હંમેશાં મારા બર્થ-ડે પર શહેરની બહાર જ રહેતો હતો. મારી દરેક ફિલ્મનું શૂટિંગ આઉટડોર્સમાં જ હોય છે. બે વર્ષ બાદ હું એક અઠવાડિયાથી વધુ સમય સુધી ઘરમાં રહ્યો છું. હું પાંઉભાજી બનાવીશ. હું બધી સામગ્રી લઈ આવ્યો હતો. સાથે જ ખીર પણ હું બનાવીશ. જોકે મમ્મી અને શીતલ આ બધી રસોઈ બનાવશે એવું લાગે છે.’
લૉકડાઉન વિશે જણાવતાં વિક્રાન્તે કહ્યું હતું કે ‘હું ઘડિયાળમાં પણ નથી જોતો કે હવે કેટલો સમય બાકી છે. ફુરસદના સમયમાં હું સ્ક્રિપ્ટ્સ અને બુક્સ વાંચું છું. મારા જર્નલમાં લખું છું અને સાથે જ ઘરનાં કામકાજ પણ કરું છું.’