ચા-કૉફી નહીં, પહેલું કામ આયુર્વેદિક મેડિસિન લેવાનું
ઝી ટીવીના ડેઇલી સોપ ‘ગુડન તુમ સે ના હો પાયેગા’ના સેટ પર પહોંચીને જાતને સૅનિટાઇઝ કરી લીધા પછી સૌકોઈ પહેલું કામ ચા પીવાનું નહીં, પણ આયુર્વેદ મેડિસિન લેવાનું અને આયુર્વેદની જડીબુટ્ટી નાખેલો ઉકાળો પીવાનું કરે છે. શોની લીડ સ્ટાર કનિકા માને આ વાત કબૂલ પણ કરી છે. કનિકા કહે છે, ‘અમારા પ્રોડ્યુસરે જ આ અરેન્જમેન્ટ કરી છે. સૌકોઈએ પહેલાં ઉકાળો અને આયુર્વેદની દવા લેવાની. ત્રણ દિવસે આ રૂટીનની સાઇકલમાં નવી મેડિસિન ઉમેરાય અને એ લેવાની. બીજી સિરિયલના સેટ પર કોવિડ-19 દેખાયા પછી આ ચીવટ અમે શરૂ કરી છે જેથી ઇમ્યુનિટી વધે અને કોઈએ કોરોનાની હેરાનગતિ સહન ન કરવી પડે.’
આ પ્રકારની ચીવટ રાખવાનું ગવર્નમેન્ટે નથી કહ્યું, પણ આ ચીવટ પ્રોડક્શન-હાઉસ લે છે. માત્ર સૅનિટાઇઝેશન કરવાથી કશું વળવાનું નથી, આ પ્રકારની એક્સ્ટ્રા ચીવટ સૌકોઈએ લેવી જોઈએ એવું કહેવાની જરૂર છે ખરી?