આગળ જવું સહેલું, પાછળ જવું મુશ્કેલ
ઝી ટીવી પર રિપીટ ટેલિકાસ્ટમાં આવી રહેલી ‘વિષ્ણુ પુરાણ’ને મળી રહેલો રિસ્પૉન્સ જોઈને ઍક્ટર નીતિશ ભારદ્વાજ અતિશય ખુશ છે. નીતિશ કહે છે કે અત્યારના સમયે પણ લોકો આ પ્રકારના વિષયને રસપૂર્વક જુએ છે એ બહુ મોટી વાત કહેવાય. નીતિશની આ સિરિયલ બી. આર. ચોપડાએ પ્રોડ્યુસ કરી હતી. આ સિરિયલમાં નીતિશે પરશુરામ અને રામ એમ બે કૅરૅક્ટર કર્યાં હતાં. નીતિશ કહે છે, ‘બન્ને કૅરૅક્ટર એકમેકથી સાવ વિપરીત હતાં. પરશુરામ તરીકે મારે એકદમ ક્રોધિત અને ઝડપથી નિર્ણય લેનારા બનવાનું હતું, તો રામ તરીકે મારે સૌમ્ય અને શાંત રહેવાનું હતું.’
નીતિશનું માનવું છે કે સ્ક્રીન પર પૌરાણિક પાત્રો ભજવવાં મુશ્કેલ અને પડકારજનક છે. નીતિશ કહે છે, ‘સમયથી આગળ જવામાં વાંધો નથી આવતો, પણ સમયમાં પાછા જવું, તેમની ભાષાની અડચણો કે પાત્રમાં ફિટ થવા વિશેની ક્ષમતા સાથે ડીલ કરવી અને એ પણ સરળતાથી એ બધું પડકારજનક હોય. એ વાત નકારી શકાય નહીં કે આજના ઍક્ટરની ભાષાની મુશ્કેલી સૌથી વધુ છે અને આ પ્રકારનાં પાત્રો હિન્દીભાષી ઍક્ટર જ વધારે અસરકારક રીતે કરી શકે, કારણ કે તેમણે નાનપણથી જ હિન્દી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકાર અને લેખકોને વાંચ્યા હોય છે.’