દેશમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન-વિશે દીપિકાએ કહ્યું...
જેએનયુની મુલાકાત લીધી દીપિકા પાદુકોણે.
દેશમાં જે પ્રકારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે એને જોતાં દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે તેને ગર્વ થાય છે કે લોકોને પોતાનાં વિચાર વ્યક્ત કરતાં ડરી નથી લાગી રહ્યો. સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, ધ નૅશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સ અને રવિવારે જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(JNU)માં થયેલી હિંસાને જોતાં દેશનાં લોકો વિરોધ પ્રદશન કરી રહ્યાં છે. આ જોતાં દીપિકાએ કહ્યું હતું કે ‘મને એ જોઈને ગર્વ થાય છે કે આપણે આપણી જાતને વ્યક્ત કરતાં ડરી નથી રહ્યાં. મને લાગે છે કે વાસ્તવિક્તા એ છે કે આપણે દેશ અને એનાં ભવિષ્ય વિશે વધુ વિચારીએ છીએ. આપણી લાગણી વ્યક્ત કરવા માટે કોઈ પણ મુદ્દો હોય પરંતુ એ જોઈને સારુ લાગે છે કે લોકો આગળ આવી રહ્યા છે. મને એ વાતનો પણ ગર્વ થાય છે કે લોકો બહાર આવે છે અને અવાજ ઊંચો કરી પોતાનાં મંતવ્યો માંડી રહ્યા છે. જો આપણે લાઇફમાં અને આપણા સમાજમાં પરિવર્તન જોવા માગતા હોઈએ તો એનાં માટે જરૂરી છે કે તમે તમારા વિચારો વ્યક્ત કરો.’
લોકો દ્વારા કરવામાં આવતાં દેખાવને લઈને દીપિકાનું એમ પણ માનવું છે કે તેને આ મુદ્દાની હજી સુધી પૂરતી માહિતી નથી. એ વિશે વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘ચોક્કસ એમાં વિચારધારા સમાયેલી છે. આપણે એક જ સમાજમાં રહીએ છીએ. એથી આપણે પ્રતિક્રિયા આપવાનાં. દુર્ભાગ્યની વાત તો એ છે કે આ વિષયમાં મને પૂરતી માહિતી ન હોવાથી આપણે એનાં પર કમેન્ટ્સ ના કરી શકીએ. જોકે એમાં દર્દ, સજાગતા અને અસહજતા તો સમાયેલી છે. આશા રાખુ છું કે દેશમાં શાતિપૂર્ણ વાતાવરણ અને સમતુલા જળવાઈ રહે. આપણને એ જાણ નથી કે એનો ઉકેલ શું છે અથવા તો કઈ રીતે સમાધાન લાવી શકાય. લોકો અને સ્થિતિ હાલમાં વણસી ગઈ છે. આશા રાખુ છું કે જલદી એનો ઉકેલ આવી જાય.’