રામપ્રસાદ કી તેહરવી થિયેટરમાં જોવાલાયક ફિલ્મ છે : નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહે ‘રામપ્રસાદ કી તેહરવી’ને થિયેટરમાં જઈને જોવાની સલાહ આપી છે. આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે. સીમા પાહવાએ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનમાં ઝંપલાવ્યું છે. પોતાનો પર્સનલ અનુભવ તેણે આ ફિલ્મમાં ઉતાર્યો છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહની સાથે સુપ્રિયા પાઠક, કોંકણા સેન શર્મા, વિનય પાઠક, વિક્રાન્ત મેસી, મનોજ પાહવા પણ જોવા મળશે. નસીરુદ્દીન શાહે આ ફિલ્મ માટે કોઈ ફી નથી લીધી. ફિલ્મ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘મારું માનવું છે કે અગત્યની ફિલ્મ એ હોય છે જે પોતાની દુનિયા, પોતાના જમાનાની સાચી તસવીર દેખાડે અને આ ફિલ્મ પણ એવી જ છે. સીમાએ તેની લાઇફના ઉદાહરણને એ ફિલ્મમાં ઉતાર્યું છે. ફિલ્મમાં તમને એની ઝલક દેખાશે. ઉદાહરણ તરીકે ફૅમિલીમાં અવસાન થાય અને જે પ્રકારે સ્થિતિનું નિર્માણ થાય છે એમાંથી મનોરંજન મળશે. એક અજીબ પ્રકારનો માહોલ બને છે. એમાં લોકોને સમજમાં નહીં આવે કે તેઓ હસે કે રડે. ઉત્તર પ્રદેશના એક નાનકડા શહેરની સ્ટોરી દેખાડવામાં આવશે. મને પૂરી ખાતરી છે કે આ ફિલ્મ લોકો પર જરૂર અસર છોડશે. આ ફિલ્મ તમારે થિયેટર્સમાં જોવી જોઈએ, કારણ કે ફિલ્મ ફની છે. દુઃખ અને સુખને દેખાડશે. આ ફિલ્મમાં કૉમેડી અને ટ્રૅજેડી બન્ને જોવા મળશે.’