ફેબ્રુઆરી 2021માં શરૂ થશે 'નચ બલિયે 10'?
પ્રતીકાત્મક તસવીર
ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે'ની સિઝન 10 છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પહેલાં આ શો વર્ષના અંતમાં શરૂ થવાનો હતો તેવી ચર્ચા હતી. પરંતુ હવે એવા સમાચાર આવ્યા છે કે, 'નચ બલિયે 10' આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2021માં શરૂ થશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, મેકર્સને કરણ જોહર (Karan Johar) સિવાય અન્ય કોઈ પ્રોડ્યુસર નથી મળી રહ્યાં.
ચેનલ સાથે અને શો સાથે જોડાયેલા સૂત્રોએ આપેલી માહિતી મુજબ, પ્લાનિંગ અનુસાર ચેનલ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 10'ને આ વર્ષે લૉન્ચ કરવા ઇચ્છતા હતા. જેના પ્રોડ્યુસર કરણ જોહર બનવાના હતા. શોની તૈયારી લૉકડાઉન પહેલાંથી શરૂ થઈ ગઈ હતી અને લૉકડાઉનના થોડા સમય પછી પણ ચાલતી રહી. પરંતુ સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કરણ જોહર પર નેપોટિઝ્મનો આરોપ લાગ્યો હતો. આ ઘટના બાદ ચેનલના અધિકારીઓ કરણ સાથે ડીલ કરવાને લઈને ખચકાટ અનુભવી રહ્યાં હતાં. દરમિયાન અધિકારીઓએ બૉલીવુડના ઘણા ફેમસ પ્રોડ્યુસર્સ સામે 'નચ બલિયે' સાથે જોડાવાનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ શોના બજેટને કારણે કોઈ સાથે વાત આગળ વધી ન શકી. કરણ જોહર સિવાય તેમને અન્ય કોઈ વિકલ્પ મળી રહ્યો નથી. એટલે હવે ચેનલ તેની સાથે જ ડીલ ફાઈનલ કરવાની અણી પર છે.
ADVERTISEMENT
વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે, એ વાતને નજરઅંદાજ ન કરી શકીએ કે શોમાં ઘણા બધા કન્ટેસ્ટન્ટ્સ હશે અને તેની સાથે તેમના હેરડ્રેસર અને મેકઅપ આર્ટિસ્ટ પણ સેટ પર હાજર રહેશે. ટેક્નિકલ ટીમ પણ ઘણી મોટી હશે અને આ બધી વાતોને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું શક્ય નહીં બને. એટલે જ શોને આવતા વર્ષે લૉન્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસ મહામારી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીને જ આ નિર્ણય લીધો છે.
હવે, નવા પ્લાનિંગ મુજબ 'નચ બલિયે 10'ને આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં લૉન્ચ કરવામાં આવી શકે છે. જોકે, આ વિશે હજુ કરણ જોહર અથવા ચેનલ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.