દરેક પ્રકારનાં પાત્રો ભજવીને નવું કરવા માગે છે સંજય દત્ત
સંજય દત્ત
સંજય દત્ત તેની દરેક ફિલ્મોનાં પાત્રોમાં કંઈક નવાપણું લાવવા માગે છે. ૧૯૮૧માં આવેલી ‘રૉકી’ અને ૧૯૯૧માં આવેલી ‘સાજન’માં રોમૅન્ટિક સ્ટારની ભૂમિકા ભજવવાથી માંડીને ‘મુન્નાભાઈ’ ફ્રૅન્ચાઇઝીમાં સંજય દત્તે પોતાના અંદાજથી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. એ હવે અફઘાન કિંગ અહમદ શાહ અબ્દાલીના ઐતિહાસિક પાત્રને ‘પાનીપત’માં જોવા મળી રહ્યો છે. સંજય દત્ત હવે ‘પૃથ્વીરાજ’માં પણ અક્ષયકુમાર સાથે એક અગત્યની ભૂમિકામાં જોવા મળશે. જોકે એ પાત્ર વિશે વધુ ખુલાસો ન કરતાં સંજય દત્તે કહ્યું હતું કે ‘કમનસીબી એ છે કે હું તમને એ પાત્ર વિશે વધુ માહિતી નહીં આપી શકું. જોકે મને પૂરી આશા છે કે આ એક એવું પાત્ર હશે જે મારા પ્રશંસકો અને દર્શકોને ગમશે. મારી ઇચ્છા દરેક પ્રકારની ભૂમિકા ભજવવાની છે, સાથે જ કંઈક નવું કરવાનો પ્રયાસ કરું છું. ‘પૃથ્વીરાજ’ને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. હું એ જોવા માગું છું કે આ ફિલ્મના પાત્ર દ્વારા મારા પ્રશંસકોની વચ્ચે હું શું સર્વશ્રેષ્ઠ આપી શકું છું.’
‘પાનીપત’માં અહમદ શાહ અબ્દાલીના ઐતિહાસિક પાત્રને લોકો તરફથી મળતી પ્રશંસા વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘પાનીપત’માં અબ્દાલીના પાત્રને દર્શકો વતી જે પ્રેમ અને પ્રશંસા મળી રહ્યાં છે એનાથી હું ખૂબ ખુશ છું. આ એક ખાસ ભૂમિકા છે. મારી પાસે આના માટે કોઈ વિશેષ પ્રક્રિયા નથી. આ ત્યારે જ શક્ય છે જ્યારે હું કોઈ પાત્ર વિશે દૃઢતાથી અનુભવ કરું ત્યારે જ હું એને ભજવવાનો નિર્ણય લઉં છું. ઐતિહાસિક ફિલ્મોમાં કામ કરવું સરળ નથી. જો સૌને જાણ હોય કે તેમને શું કરવું છે તો અડધું કામ તો ત્યાં જ પૂરું થઈ જાય છે. હું ‘પૃથ્વીરાજ’ના સેટ પર અક્ષયકુમાર સાથે થનારી મસ્તીની રાહ જોઈ રહ્યો છું. આ વધુ એક ઐતિહાસિક ફિલ્મ હશે. હું વર્તમાનમાં જે પ્રકારના રોલ ભજવી રહ્યો છું એ સમય એક કલાકાર તરીકે મને ફાવી રહ્યો છે. એક કલાકારની આ એક રચનાત્મક રૂપે આઝાદી છે.’