લતા મંગેશકર વગર સંગીત અધૂરું છે : અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે લતા મંગેશકર વગર સંગીત અધુરૂ છે. લતા મંગેશકરનો ગઈકાલે બર્થ-ડે હતો. તેમને શુભેચ્છા આપતા અમિતાભ બચ્ચને સાત મિનીટનો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તેઓ કહી રહ્યાં છે કે ‘આદરણીય લતાજીને હું પ્રણામ કરું છું. જીવનમાં એવા અનેક સંબંધો હોય છે જેનો હિસાબ નથી હોતો. ના આપવાવાળો જાણે છે કે શું આપ્યું અને ના તો લેવાવાળો જાણે છે કે તેણે શું લીધુ છે. ના તો કોઈ તોલમોલ, ના તો કોઈ ગણત્રી, ના તો કોઈ વ્યવહાર હોય છે અને ના તો કોઈ સીમા હોય છે. આવા સંબંધોમાં માત્ર આદર, સન્માન, અનંત પ્રેમ અને શ્રદ્ધા હોય છે. આવા સંબંધોનો કોઈ દેહ સ્વરૂપ નથી હોતો. આ સંબંધો પોતાની પરિભાષા પોતે બનાવે છે. આવા જ એક અજરા અમર સંબંધનું નામ છે લતા દીનાનાથ મંગેશકર. લતાજી તમને ૯૦માં વર્ષની હાર્દિક શુભકામનાઓ. સાથે જ અનંત અભિનંદન. લતાજીના સમયમાં જન્મ લેવા માટે હું પોતાને નસિબદાર માનુ છું. ઘણાં વર્ષોથી તમારો અવાજ લોકોના જીવનમાં જાદૂ ચલાવી રહ્યો છે. તમારો અવાજ સાંભળીને મન આપોઆપ બંધ રૂમમાંથી નીકળીને તમારા અવાજ સાથે ચાલવા લાગે છે. લતાજી તમારા અવાજ વગર સંગીત અધુરૂ છે.’
આ વિડિયો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘લતા મંગેશકરજીની ૯૦મી વર્ષગાંઠ નિમીત્તે મારા શબ્દો, થોડી ભાવનાઓ, આદર સાથે રજુ કરું છું.’