મુંબઇ ડાયરીઝ 26/11 સીરિઝમાં દેખાશે મુંબઇ હુમલાનો તે ભાગ, જે છે અજાણ્યો
મુંબઇ ડાયરીઝ
'26 નવેમ્બર 2008ની તે ભયાનક રાત દરેક ભારતીયના મગજ પર પોતાની છાપ છોડી ગઈ છે.' 26/11ના મુંબઇમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા દેશમાં ખળભળાટ ઊભો કરી દીધો હતો. આ એ તારીખ છે જેને ઇતિહાસમાં હંમેશાં કાળો દિવસ માનવામાં આવશે. દરવર્ષે જ્યારે પણ આ તારીખ આવે છે તો આ દિવસ સાથે જોડાયેલી ખરાબ સ્મૃતિઓ આંખ સામે આવી જાય છે. 26/11ને લઈને અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલીય ફિલ્મો બની ચૂકી છે. હવે આ વિષય પર એમેઝૉન પ્રાઇમ વીડિયો પણ એક નવી સીરિઝ લાવે છે. મુંબઇ હુમલાની 12મી પુણ્યતિથિ પર સીરિઝનો પહેલો લૂક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સીરિઝનું નામ છે 'મુંબઇ ડાયરીઝ 26/11 (Mumbai Diaries 26/11).'
આ સીરિઝમાં તમને કોંકણા સેન શર્મા, મોહિત રૈના, ટીના દેસાઇ અને શ્રેયા ધનવંતરી લીડ રોલમાં દેખાશે. સીરિઝમાં ડૉક્ટર, નર્સ, પેરા મેડિકલ અને હૉસ્પિટલ સ્ટાફની અત્યાર સુધીની વણસુણી સ્ટોરી રજૂ કરવામાં આવશે. આના ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર છે નિખિલ આડવાણી. નિખિલ આડવાણી સાથે નિખિલ ગોન્સાલવેસે પણ આનું નિર્દેશન કર્યું છે. સીરિઝ એમેઝૉન પ્રાઇમ વીડિયો પર માર્ચ 2021માં રિલીઝ કરવામાં આવશે.
ADVERTISEMENT
અહીં જુઓ ફર્સ્ટ લૂક
40 સેકેન્ડના આ ફર્સ્ટ લૂક વીડિયોમાં મુંબઇ તાજ હોટેલ (જ્યાં હુમલો થયો હતો)થી લઈને ઇજાગ્રસ્ત લોકો અને દોડતી એમ્બ્યુલેન્સ બતાવવામાં આવી છે. સીરિઝ હૉસ્પિટલમાં બનાવવામાં આવી છે. આ સીરિઝ તે ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને હૉસ્પિટલ કર્મચારીઓની વણસુણી સ્ટોરીને દર્શાવે છે, જેમણે મુંબઇ પર થયેલા આતંકવાદી હુમલામાં ઇજાગ્રસ્ત લોકોના જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યું હતું. જો કે, ફર્સ્ટ લૂકના વીડિયોમાં હજી સંપૂર્ણ રીતે સ્ટોરી ક્લિયર નથી કરવામાં આવી. જો કે તેની માટે તો ટ્રેલરની રાહ જોવી જ રહી.
એમેઝૉન પ્રાઇમ વીડિયોમાં ઇન્ડિયા ઓરિજિનલ્સની હેડ અપર્ણા પુરોહિતે કહ્યું, "આ શૉ મુંબઇના ક્યારેય હાર ન માનનારા જઝ્બાને સલામ કરે છે." આ શૉની થીમ વિશે ચર્ચા કરતા નિખિલ આડવાણી કહે છે, "અમે મુંબઇના લોકો ઘણીવાર ચર્ચા કરીએ છીએ કે તે ભયાવહ રાતે આપણે ક્યાં હતા, જ્યારે આ ઘટનાએ આખા શહેરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના પર અત્યાર સુધી અનેક શૉ અને ફિલ્મો બની ચૂકી છે, પણ કોઇપણ શૉ કે ફિલ્મમાં આ હુમલા દરમિયાન હૉસ્પિટલના પક્ષને દર્શાવવામાં નથી આવ્યો. અમે આ સીરિઝમાં બહાદૂર ડૉક્ટર્સના સારા કામને પ્રોત્સાહન આપશું, જેમણે આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતાં આતંકવાદી હુમલા સમયે ઇજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યું હતું."