મિર્ઝાપુરનો મુન્નાભૈયા કરશે બિચ્છુ કા ખેલ
દિવ્યેંદુ શર્મા
ફિલ્મમાં કોઈ કલાકારે ભજવેલું પાત્ર જાણીતું થાય એટલે એનો ઉપયોગ પછીની ફિલ્મોમાં કરવામાં આવે છે. એટલે કે જે-તે કલાકારને જાણીતા થયેલા પાત્રને અનુરૂપ જ પાત્ર આપવામાં આવે. તેનાં કપડાં, બોલવાની સ્ટાઇલ, લાક્ષણિકતા એવી જ હોય જે અગાઉની જાણીતી થયેલી ફિલ્મમાં હોય, જે દર્શકોમાં લોકપ્રિય હોય. હવે એવું વેબ-સિરીઝમાં પણ થઈ રહ્યું છે.
વાત એમ છે કે તાજેતરમાં રિલીઝ થયેલી ઍમેઝૉન પ્રાઇમની લોકપ્રિય સિરીઝ ‘મિર્ઝાપુર’નું મુન્નાભૈયાનું પાત્ર અભિનેતા દિવ્યેંદુ શર્માએ ભજવ્યું છે. મિર્ઝાપુરનાં મુખ્ય તમામ પાત્રોની જેમ આ પાત્ર પણ અત્યંત લોકપ્રિય થયું છે. સિરીઝની બન્ને સીઝનમાં તે મહત્તમ સ્ક્રીન પર દેખાય છે. હવે દિવ્યેંદુને લીડ રોલમાં
ચમકાવતી ઝીફાઇવની સિરીઝ ‘બિચ્છુ કા ખેલ’ ૧૮ નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે, જેમાં મિર્ઝાપુરમાં બતાવવામાં આવી છે એવી જ પોલીસ-ગુંડા વચ્ચેની ખેંચતાણ છે અને દિવ્યેંદુ શર્માનું પાત્ર પણ મુન્નાભૈયાની બૅકસ્ટોરી હોય એવું લાગે છે.
ઝીફાઇવ અને અલ્ટ બાલાજી પર રિલીઝ થનાર ‘બિચ્છુ કા ખેલ’માં દિવ્યેંદુ શર્મા ઉપરાંત અંશુલ ચૌહાણ, મુકુલ ચઢ્ઢા અને સત્યજિત શર્મા સહિતના કલાકારો છે.