ઇશ્ક મેં મરજાવાં 2ની નવી વિલન માનસી શ્રીવાસ્તવ
કલર્સ ટીવીની રોમૅન્ટિક થ્રિલર સિરિયલ ‘ઇશ્ક મેં મરજાવાં 2’માં માનસી શ્રીવાસ્તવની વિલન તરીકે એન્ટ્રી થવાની છે. શોમાં હેલી શાહ, રાહુલ સુધીર અને વિશાલ વશિષ્ઠ મુખ્ય કલાકારો છે. રિદ્ધિમા (હેલી શાહ) કબીર (વિશાલ) નામના પોલીસ-ઑફિસરના પ્રેમમાં હોય છે અને કબીર પોતાના દુશ્મન અને સાવકા ભાઈ વંશ રાયસિંઘાણિયા (રાહુલ સુધીર) સામે બદલો લેવા માટે રિદ્ધિમાને વંશ સાથે લગ્ન કરવાની ફરજ પાડે છે. જોકે લગ્ન થયા બાદ રિદ્ધિમા અને વંશ એકમેકના પ્રેમમાં પડે છે, તો બીજી તરફ લુચ્ચો કબીર તેમને અલગ કરવાનાં કાવતરાં કરે છે. કબીર ઉપરાંત માનસી શ્રીવાસ્તવ પણ આહના તરીકે રિદ્ધિમા અને વંશની જિંદગીમાં વંટોળ લાવવાની છે.
આહના એક ખાસ હેતુથી સિંઘાણિયા પરિવારમાં આવવાની છે અને રિદ્ધિમા માટે મોટો પડકાર ઊભો કરવાની છે. ‘વિદ્યા’ અને ‘ઇશ્કબાઝ’ જેવી ટીવી-સિરિયલથી જાણીતી બનેલી માનસીએ ‘ઇશ્ક મેં મરજાવાં 2’ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.