પોતાને ખૂબ જ લાલચુ ઍક્ટર ગણે છે મનીષ પૉલ
મનીષ પૉલનું માનવું છે કે તે લાલચુ કલાકાર છે. મનીષની કૉમેડી ઘણાને પસંદ પડે છે અને તે એક સારો હોસ્ટ પણ છે. તેનું ધ્યેય માત્ર લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે. મનીષની ‘What If’ શૉર્ટ ફિલ્મ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મને તેણે કાર્તિક સિંહ સાથે મળીને ડિરેક્ટ કરી હતી. પોતાના વિશે જણાવતાં મનીષે કહ્યું હતું કે ‘હું મારી જાતને લાલચુ આર્ટિસ્ટ તરીકે જણાવું છું, એથી હું કોઈ એક વસ્તુને જ પસંદ ન કરી શકું. હું એમ ન કહી શકું કે મને માત્ર ફિલ્મો કે પછી ટેલિવિઝનના શો હોસ્ટ કરવા છે. જે પણ કામ મારી પાસે આવે એના માધ્યમથી હું લોકોને મનોરંજન પૂરું પાડવા માગું છું. એ જ મારા માટે અગત્યનું છે. શો હોસ્ટ કરું, ફિલ્મોમાં કામ કરું કે પછી મારી શૉર્ટ ફિલ્મ જ કેમ ન હોય કે પછી કોઈ પણ માધ્યમ હોય; મારી ઇચ્છા છે કે લોકો સુધી મનોરંજન પહોંચવું જોઈએ.’