પીએમ કૅર્સ ફંડમાં મનીષ પૉલ અને અર્જુન બિજલાનીએ પણ દાન કર્યું
કોરોના મહામારીને લીધે આખા દેશની સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે અને કેટલાય લોકો માટે આ સમય પીડાદાયક સાબિત થઈ રહ્યો છે ત્યારે તેમની મદદ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પીએમ કૅર્સ ફંડ’ નામનું ઇનિશિએટિવ શરૂ કર્યું છે. વડા પ્રધાને આ રિલીફ ફંડમાં દેશવાસીઓને બનતી રકમ દાનમાં આપવાની અપીલ કરી છે. તાજેતરમાં રતન તાતાથી માંડીને અક્ષય કુમાર અને વરુણ ધવને આ રિલીફ ફંડમાં દાન કર્યું છે, તો કોમેડી કિંગ કપિલ શર્માએ પણ ૫૦ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આ ઉપરાંત, જાણીતા હૉસ્ટ મનીષ પૉલ અને ટીવી અભિનેતા અર્જુન બિજલાનીએ પણ અનુક્રમે ૨૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. આ બંને કલાકારોએ લખ્યું કે, આવા સમયે (કોરોના મહામારી) સૌને એકબીજાની જરૂર છે.
અર્જુન બિજલાનીએ પીએમ કૅર્સ ફંડમાં ૫ લાખ અને ચીફ મિનિસ્ટર ફંડમાં પાંચ લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. અર્જુન ‘નાગિન’, ‘મિલે જબ હમ તુમ’, ‘ઈશ્ક મેં મરજાવાં’ જેવી સિરીયલો માટે જાણીતો છે અને છેલ્લે ઝીફાઈવની સીરિઝ ‘સ્ટેટ ઑફ સીજ ૨૬/૧૧’માં જોવા મળ્યો છે.