પ્રેમને કારણે જ આ જગતમાં દરેક વસ્તુ આગળ વધે છે : ઇમ્તિયાઝ અલી
ઇમ્તિયાઝ અલી મુજબ દરેક વસ્તુઓ આ દુનિયામાં પ્રેમને કારણે ચાલે છે. આ જ કારણ છે કે તેની દરેક ફિલ્મોમાં પ્રેમ કેન્દ્ર સ્થાને હોય છે. સારા અલી ખાન અને કાર્તિક આર્યન સાથેની ‘લવ આજ કલ’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યુ છે. પ્રેમ વિશે પોતાનાં વિચાર જણાવતાં ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘મને એ નથી જાણ કે પ્રેમ સાથે શું સંગતતા છે, પરંતુ મારું માનવુ છે કે યુનિવર્સમાં જે કંઈ પણ છે એ બધુ પ્રેમને કારણે જ આગળ વધે છે. હું એમ પણ માનું છું કે એક પૂરુષ અને એક મહિલાના પ્રેમને કારણે જ આ દુનિયા આગળ વધે છે. હું આ બાબતને વધુ નજીકથી જાણવા માગુ છું.’
યુવા પેઢી હાલમાં જે તબક્કામાંથી પસાર થઈ રહી છે એ જ સમયમાંથી તે પણ પસાર થયો હતો. એ વિશે ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘હું હાલમાં ઉંમરનાં એક પડાવ પર પહોંચી ગયો છું. જોકે હું જ્યારે યુવાન હતો ત્યારે આજની પેઢી જે તબક્કામાંથી પસાર થઈ રહી છે એમાંથી હું પણ પસાર થયો હતો. મારુ માનવુ છે કે દરેક વ્યક્તિ એ સમયમાંથી તો પસાર થાય જ છે. તેમનાં મનમાં પણ એ જ સવાલો છે જે એ સમયમાં અમારા દિમાગમાં હતાં.’
ADVERTISEMENT
ઇમ્તિયાઝ અલીને પૂછવામાં આવ્યુ હતું કે શું તે પોતાની ફિલ્મો દ્વારા પ્રેમની ભાષા સમજાવવા માગે છે. એ સંદર્ભે ઇમ્તિયાઝ અલીએ કહ્યું હતું કે ‘તમે જ્યારે યુવાન હતાં ત્યારે તમે જે અનુભવ્યુ એ પ્રેમની ભાષાને સમજાવવી એટલી સરળ નથી. આપણે કોઈના પર પણ દબાણ ના નાખી શકીએ કે ચોક્કસ બાબતોનું અનુકરણ કરીને પોતાની લાઇફને સુધારે. જોકે ફિલ્મ દ્વારા હું યુવા પેઢીને પ્રેમ વિશે સમજાવવાનો પ્રયાસ કરું છું. હું તેમને એમ નથી કહેવા માગતો કે શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ. હું તેમને એ દેખાડી રહ્યો છું કે હું કોણ છું અને પ્રેમ વિશે મારી આ સમજ છે.’