એસ. પી. બાલાસુબ્રમણ્યમે ટાઇફૉઇડના કારણે છોડી હતી કૉલેજ
એસ. પી. બાલાસુબ્રમણ્યમ
એસ.પી. બાલાસુબ્રમણ્યમના પાંચ દાયકાની સિન્ગિંગ કરીઅરની વાત કરીએ તો તેમણે 16 અલગ-અલગ ભાષાઓમાં 40 હજાર જેટલાં ગીતો ગાયાં છે. તેમને પદ્મશ્રી (2001) અને પદ્મભૂષણથી (2011) સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે જ 6 નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સથી પણ તેમને નવાજવામાં આવ્યા છે. તેઓ જ્યારે એન્જિનિયરિંગનો કોર્સ કરતા હતા એ દરમ્યાન અનેક સિન્ગિંગ કૉમ્પિટિશનમાં તેમણે ભાગ લીધો હતો અને ઇનામ પણ જીત્યા હતા. ગીત ગાવામાં તેઓ એટલા તો બિઝી થઈ ગયા હતા કે એક દિવસમાં 15 ગીતો પણ ગાયાં છે. તેમણે કમલ હાસનની ફિલ્મ ‘એક દુજે કે લિએ’નાં ગીતો ગાઈને બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તો સલમાન ખાનની ‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈં કૌન’ જેવી અનેક યાદગાર ફિલ્મોમાં પોતાના અવાજનો તેમણે જાદુ રેલાવ્યો હતો.
ADVERTISEMENT
શરૂઆતના દિવસો
એસ. પી. બાલાસુબ્રમણ્યમનો જન્મ મદ્રાસ પ્રેસિડન્સી એટલે કે અત્યારના આંધપ્રદેશના નેલોર જિલ્લામાં તેલુગુ ફૅમિલીમાં થયો હતો. એસ. પી. બાલાસુબ્રમણ્યમના પિતા એસ. પી. સમ્બમૂર્તિ હરિકથા આર્ટિસ્ટ હતા અને તેમણે ઘણાં નાટકોમાં પણ કામ કર્યું હતું. તેમની મમ્મીનું મૃત્યુ 2019ની ચાર ફેબ્રુઆરીએ થયું હતું. તેમનો દીકરો એસ. પી. ચરણ ખૂબ જ પૉપ્યુલર સાઉથ ઇન્ડિયન સિંગર, ઍક્ટર અને પ્રોડ્યુસર છે.
તેમને શરૂઆતથી જ મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ હતો અને તેમણે એ શીખ્યું પણ હતું. એન્જિનિયર બનવાના હેતુથી તેમણે જેએનટીયુ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અનંતપુરમાં ઍડ્મિશન લીધું હતું. ટાઇફૉઇડને કારણે તેમણે અભ્યાસ છોડી દીધો હતો અને ત્યાર બાદ તેઓ ચેન્નઈમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયર્સમાં મેમ્બર બન્યા હતા. એન્જિનિયરિંગ દરમ્યાન તેમણે સંગીતમાં ઇન્ટરેસ્ટ રાખ્યો હતો અને કૉમ્પિટિશનમાં તેઓ વિજેતા પણ બનતા હતા. તેઓ લાઇટ મ્યુઝિક ટ્રુપના લીડર હતાં જેમાં ઇલિયારાજા અને ગંગાઈ આમરન જેવા મ્યુઝિશ્યન પણ હતા. તેમનું પહેલું ઑડિશન ગીત ‘નિલાવે ઇનિદામ નેરુન્ગધે’ પી. બી. શ્રિનિવાસ દ્વારા રેન્ડર કરવામાં આવ્યું હતું.
સિંગર તરીકેની મુસાફરી
1966ની પંદર ડિસેમ્બરે તેમણે પ્લેબૅક સિંગર તરીકે તેમનું ડેબ્યુ કર્યું હતું. તેમના મેન્ટર એસ. પી. કોડાન્ડાપાની દ્વારા તેમની તેલુગુ ફિલ્મનું મ્યુઝિક આપવામાં આવ્યું હતું. તેમના તેલુગુ સૉન્ગના ડેબ્યુના આઠ દિવસ બાદ તેમનું પહેલું નૉન-તેલુગુ ગીત કન્નડમાં રેકૉર્ડ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તામિલ અને હિન્દીમાં પણ તેમણે ગીત ગાયાં હતાં. તેમણે 1981ની આઠ ફેબ્રુઆરીએ સવારે નવથી સાંજે નવ સુધીમાં ઉપેન્દ્ર કુમાર માટે 21 કન્નડ ગીતોનું રેકૉર્ડિંગ કર્યું હતું. તેમ જ એક જ દિવસમાં તેમણે 19 તામિલ ગીતોને પણ રેકૉર્ડ કર્યાં હતાં. આ સાથે જ તેમણે એક દિવસમાં 16 હિન્દી ગીતોને પણ રેકૉર્ડ કર્યાં હતાં. (આ તમામ દિવસો અલગ-અલગ હતા.) ત્રણ ભાષા માટે ત્રણ દિવસમાં આટલાં ગીત રેકૉર્ડ કરવાનો રેકૉર્ડ તેમની પાસે જ છે. 1980માં આવેલી ‘સંકરાભરનમ’ માટે તેમને પહેલી વાર પ્લેબૅક સિન્ગિંગ માટે નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. ત્યાર બાદ તેમને 1981માં ‘એક દુજે કે લિએ’ માટે પણ નૅશનલ ફિલ્મ અવૉર્ડ મળ્યો હતો. ઇલિયારાજા અને એસ. જાનકી સાથે એસ. પી. બાલાસુબ્રમણ્યમે ઘણાં ગીતો ગાયાં હતાં અને આ ત્રિપુટી ખૂબ જ સફળ રહી હતી. 1989માં આવેલી ‘મૈંને પ્યાર કિયા’માં તેમણે સલમાન ખાન માટે ગીતો ગાયાં હતાં. ‘દિલ દીવાના’ ગીત માટે તેમને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. આ બાદ તેઓ એક દાયકા સુધી સલમાન ખાનના પ્લેબૅક સિંગર બન્યા હતા. ત્યાર બાદ તેમણે ‘રોજા’ માટે એ. આર. રહમાન માટે ગીત ગાયું હતું. ત્યાર બાદ તેમની જોડી ખૂબ જ સફળ રહી હતી. ત્યાર બાદ પંદર વર્ષ બાદ તેમણે શાહરુખ ખાન માટે ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં ગીત ગાયું હતું. કોરોના વાઇરસ માટે પોલીસ, આર્મી, ડૉક્ટર્સ, નર્સિસ વગેરેનો આભાર માનતાં ઇલિયારાજાએ ‘ભારત ભૂમિ’ ગીત કમ્પોઝ કર્યું હતું એમાં તેમણે અવાજ આપ્યો હતો.
વૉઇસ ઓવર આર્ટિસ્ટ
સિંગરની સાથે તેઓ ગજબના વૉઇસ આર્ટિસ્ટ હતા. તેમણે કે. બાલાચંદરની ફિલ્મ ‘મનમધ લીલા’ દ્વારા વૉઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે શરૂઆત કરી હતી. આ ફિલ્મના તેલુગુ વર્ઝનમાં તેમણે કમલ હાસન માટે અવાજ આપ્યો હતો. કમલ હાસન, રજનીકાન્ત, વિષ્ણુવર્ધન, સલમાન ખાન, કે. ભાગ્યરાજ, મોહન, અનિલ કપૂર, ગિરિશ કર્નાડ જેવા ઘણા ઍક્ટર્સ માટે અવાજ આપ્યો હતો. કમલ હાસનની તામિલ ફિલ્મના તેલુગુ વર્ઝન માટે તેમને બાયડિફૉલ્ટ પસંદ કરવામાં આવતા હતા. કમલ હાસનની ‘દશાવતારમ’ના તેલુગુ વર્ઝન માટે તેમણે દસમાંથી સાત અવતાર માટે અવાજ આપ્યો હતો, જેમાં મહિલાના પાત્રનો પણ સમાવેશ થાય છે.
મૃત્યુ
એસ. પી. બાલાસુબ્રમણ્યમે સાવિત્રી સાથે લગ્ન કર્યાં હતાં અને તેમને દીકરી પલ્લવી અને દીકરો એસ. પી. ચરણ છે. કોરોના વાઇરસના સંપર્કમાં આવતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દોઢ મહિનાથી પણ વધુ હૉસ્પિટલમાં રહ્યા બાદ તેમનું ગઈ કાલે મૃત્યુ થયું હતું.