કોરોનાને ધ્યાનમાં રાખતાં લતા મંગેશકરના બિલ્ડિંગને કરવામાં આવ્યું સીલ
લતા મંગેશકર
લતા મંગેશ્કર જે પ્રભુકુંજ બિલ્ડિંગમાં રહે છે એને બીએમસીએ સીલ કર્યું છે. જોકે લતા મંગેશકર અને તેમની ફૅમિલી સલામત છે. હાલમાં કોરોનાનો જે કેર વર્તાઈ રહ્યો છે એને જોતાં તેમનું બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગ પેડર રોડના કમ્બાલા હિલ પર છે. બિલ્ડિંગ સીલ કરવા વિશે તેમના પરિવારે કહ્યું કે ‘અમને પ્રભુકુંજ સીલ કરવા સંદર્ભે કૉલ્સ આવ્યા હતા. અમારી સોસાયટીને મહામારીને કારણે સીલ કરવામાં આવી છે. અમારા બિલ્ડિંગમાં અને ઘરમાં સિનિયર સિટિઝન્સ છે એથી સલામતીને ધ્યાનમાં રાખતાં આ પગલું લેવામાં આવ્યું છે. આ વખતે સોશ્યલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતાં અમારો ગણેશોત્સવ પણ અમે સરળ રીતે ઊજવ્યો હતો. અમારા પરિવારના કોઈ પણ સભ્યની હેલ્થ વિશે કોઈ પણ પ્રકારની અટકળો ન લગાવવામાં આવે. અમારી સોસાયટીમાં અમે સાવધાની, કાળજી અને સહયોગ કરી રહ્યા છીએ. ખાસ કરીને સિનિયર સિટિઝન્સની અને અન્ય રહેવાસીઓની પણ દેખભાળ કરી રહ્યા છીએ. ભગવાનની કૃપા અને લોકોની શુભેચ્છાઓને કારણે અમારી ફૅમિલી સલામત છે.’