તેનાલી રામાનો ક્રિષ્ના ભારદ્વાજ લૉકડાઉનથી રાજી કેમ થયો છે?
સોની સબ ટીવી પર પૉપ્યુલર થયેલા શો ‘તેનાલી રામા’માં રામાનું લીડ કૅરૅક્ટર કરતો ક્રિષ્ના ભારદ્વાજ લૉકડાઉનના આ પિરિયડમાં સૌથી વધારે ખુશ છે. ક્રિષ્નાની ખુશીનું કારણ જાણવા જેવું છે. તેનાલીના કૅરૅક્ટર માટે ક્રિષ્નાએ ટકલુ રાખવાનું હતું. પ્રોડક્શન-હાઉસ અને ચૅનલ બન્નેની ઇચ્છા હતી કે એ રિયલ ટકલુ કરાવે અને ક્રિષ્નાએ કરાવ્યું પણ ખરું, પણ સિરિયલ હિટ થઈ અને શોને એક્સટેન્શન મળતું ગયું અને એને લીધે ક્રિષ્નાનું ટકલુ પણ લંબાતું ગયું. દર પાંચમા અને સાતમા દિવસ મસ્તક પર આવી જતા વાળ કૅમેરા પર પકડાય નહીં એ માટે ક્રિષ્નાએ અઠવાડિયામાં એકાદ વાર તો ટકલુ ક્લિયર કરાવવું જ પડતું, પણ લૉકડાઉનને કારણે આ પરિસ્થિતિમાંથી તેને છુટકારો મળ્યો છે અને ક્રિષ્નાના મસ્તક પર હવે આવતા વાળ કોઈને નડતા નથી. ક્રિષ્ના મૂળ ઝારખંડનો છે, પણ છેલ્લી ઘડીએ શૂટિંગ બંધ થતાં તે પોતાના ઘરે જઈ શક્યો નહીં અને મુંબઈમાં જ રોકાઈ ગયો. લૉકડાઉનના આ સમયમાં એ બે જ કામ કરે છે, ભરપેટ ખાવાનું અને પેટ ભરીને ઊંઘવાનું. ક્રિષ્ના કહે છે, ‘મેં અત્યારે બધાં ટેન્શન છોડી દીધાં છે. હું મેડિટશન પુષ્કળ કરું છું અને મેડિટેશન થકી હું મારું મન સ્વસ્થ રાખું છું. અત્યારે મને સૌથી વધારે જો કોઈ વાતમાં મજા આવતી હોય તો એ છે મારી જાતને જોવી. હું મસ્તક પર વાળ હોય એવી અવસ્થા લાંબા સમય પછી જોઉં છું અને મને મારો આ નવો લુક ગમે છે.’