પાર્થ સમથાનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
પાર્થ સમથાન, આમના શરીફ, એરિકા ફર્નાન્ડિસ
પાર્થ સમથાનને થોડા દિવસ અગાઉ કોરોના થતાં ફરીથી ટેસ્ટ કરાવતાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તે ‘કસૌટી ઝિંદગી કી’માં અનુરાગ બાસુનું પાત્ર ભજવી રહ્યો છે. તેને કોરોના થતાં આ શોનું શૂટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેના અન્ય કોસ્ટાર્સ જેવા કે કરણ પટેલ, આમના શરીફ, એરિકા ફર્નાન્ડિસ અને પૂજા બૅનરજીએ પણ અગમચેતીના ભાગરૂપે કોરોનાની ટેસ્ટ કરાવી હતી. જોકે સદ્નસીબે કોઈને પણ કોરોનાનું સંક્રમણ નહોતું થયું. પોતે કોરોના પૉઝિટિવ મળી આવવાની માહિતી પાર્થે જ સોશ્યલ મીડિયામાં આપી હતી. તેનામાં હલકાં લક્ષણ હોવાથી તે હોમ ક્વૉરન્ટીન હતો. હાલમાં કરાયેલા રિપોર્ટ વિશે પાર્થે કહ્યું હતું કે ‘હા, સાચી વાત છે. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.’
‘કસૌટી ઝિંદગી કી’નું શૂટિંગ એરિકા ફર્નાન્ડિસ અને આમના શરીફ ઘરેથી કરી રહ્યાં છે. થોડા સમય પહેલાં આ શોમાં અનુરાગ બાસુનું પાત્ર ભજવનાર પાર્થ સમથાનને પણ કોરોના થયો હતો. ત્યાર બાદ શૂટિંગ બંધ કરવામાં આવ્યુ હતું. બાદમાં આમના શરીફનો પર્સનલ સ્ટાફ મેમ્બર અને બે વૉચમેન કોરોના પૉઝિટિવ થયા હતા. ઘરેથી શૂટિંગ કરવા વિશે એરિકા ફર્નાન્ડિસે કહ્યું હતું કે ‘મેં શરૂઆતમાં જ ટેસ્ટ કરાવી હતી અને મારી ટેસ્ટ નેગેટિવ આવી હતી. મારે હજી અન્ય ટેસ્ટ માટે થોડા દિવસ રાહ જોવી પડશે. દસ દિવસ બાદ મારે સેટ પર પાછા ફરવું પડશે. જોકે અમારો શો ઑન ઍર છે એટલે અમારે સતત કામ કરવાનું છે. એથી આ એક સારી રીત છે. તેમના માટે મને રિપ્લેસ કરવી સહેલું છે, પરંતુ તેઓ મારી સાથે કોઑપરેટ કરી રહ્યા છે. તેઓ કામને સરળ બનાવવાનો ઉપાય શોધી કાઢે છે. ચૅનલ અને એકતા કપૂરનો આમાં ઘણો સ્ટેક છે અને તેઓ ખૂબ ધ્યાન રાખી રહ્યાં છે. એથી હું મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું.’