સૈફ અને કરીનાના પરિવાર વચ્ચે શું છે જૂનો સંબંધ?
સૈફ અલી ખાન અને કરીના કપૂરનાં તાજેતરમાં થયેલાં લગ્નને લીધે સૈફનો પટૌડીનો રાજવી પરિવાર અને કરીનાનું કપૂર ખાનદાન એકમેક સાથે સંકળાઈ ગયાં છે, પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે પટૌડીના રાજવી પરિવાર અને કપૂર ખાનદાનનો સંબંધ બહુ જૂનો છે. મળતી માહિતી પ્રમાણે કરીનાના દાદા પૃથ્વીરાજ કપૂરે ૧૯૪૯ના ડિસેમ્બરમાં ભોપાલમાં પૃથ્વી થિયેટર્સનાં નાટકો રજૂ કરવા દેવા માટેની પરવાનગી માગી હતી. એ સમયે સૈફના પિતા મન્સૂર અલી ખાન પટૌડીના દાદા ભોપાલના નવાબ હતા. એ વખતે પૃથ્વીરાજ કપૂરે ભોપાલમાં તેમના ‘શકુંતલા’, ‘દીવાર’, ‘પઠાણ’, ‘ગદ્દાર’ અને ‘આહુતિ’ જેવાં નાટકો દર્શાવવાની અને એને કરમુક્ત કરવાની ડિમાન્ડ કરી હતી. એ સિવાય પૃથ્વીરાજ કપૂરે નાટકના સરંજામ ભરેલી ત્રણ ટ્રકો અને ૯૦ કાર્યકરો માટે રાજ્યના ગેસ્ટહાઉસમાં ૯૦ દિવસ રહેવા દેવાની પરમિશન માગી હતી.
જોકે એ વખતે પૃથ્વીરાજ કપૂરને કરમાંથી તો મુક્તિ નહોતી આપવામાં આવી, પણ ઈદના સમયગાળામાં તેમને નાટક દર્શાવવાની પરમિશન મળી ગઈ હતી. એ વખતે કોઈને સહેજેય ખ્યાલ નહોતો કે પૃથ્વીરાજ કપૂરના પરિવારની દીકરી એક દિવસ પટૌડી પરિવારની વહુ બનશે.