સામાજિક મુદ્દાઓને ઉજાગર કરતી ફિલ્મો કરવાનો પ્રયાસ કરું છું: કરીના કપૂર
કરીના કપૂર ખાન (File Photo)
કરીના કપૂર ખાનનું કહેવું છે કે તે સામાજિક મુદ્દાઓને દર્શાવતી ફિલ્મોમાં કામ કરવાનો સતત પ્રયાસ કરે છે. તેણે ‘વીરે દી વેડિંગ’ અને ‘ઉડતા પંજાબ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેની આગામી ફિલ્મો ‘અંગ્રેઝી મીડિયમ’ અને ‘ગુડ ન્યુઝ’માં પણ સોશ્યલ ઇશ્યુને વાચા આપવામાં આવશે. આ ફિલ્મોમાં ફેમિનિઝમ, સરોગસી અને અેજ્યુકેશનને સંબંધિત વિષયો પર પ્રકાશ પાડવામાં આવશે. ફિલ્મોની સ્ટોરી વિશે કરીનાએ કહ્યું હતું કે ‘હું એવી ફિલ્મો કરવાનો પ્રયાસ કરું છું કે જેમાં સામાજિક મુદ્દાઓને દેખાડવામાં આવે. ફિલ્મનાં વિષય અને સ્ટોરીઝ એવાં હોવાં જોઈએ જે હૃદયને સ્પર્શી જાય. મારો રોલ ભલે નાનો હોય તો પણ હું એવી ફિલ્મ કરવા માગીશ જેમાં વાસ્તવિક દેખાડવામાં આવે. ‘વીરે દી વેડિંગ’ જેવી ફિલ્મે અનેક રીતે જૂની પ્રથાને તોડી હતી. ફિલ્મની સ્ટોરી ચાર ફ્રેન્ડ્સની હતી. તેઓ પોતાની સમસ્યા જાહેરમાં કહી શકતાં નહોતાં. ઠીક એ રીતે જ ‘ઉડતા પંજાબ’માં પણ અગત્યના વિષયને દેખાડવામાં આવ્યો હતો.’
અક્ષયકુમાર સાથેની ‘ગુડ ન્યુઝ’ ૨૭ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સફળ થવાની છે એવું જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘વર્તમાન સમયમાં સારી સ્ટોરીઝને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. ફિલ્મને મળતા રિસ્પૉન્સથી એ સાબિત થઈ જાય છે. ‘ગુડ ન્યુઝ’ને ખૂબ જ સારી રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મને સારું કલેક્શન મળશે કેમ કે ફિલ્મમાં અક્ષયકુમાર પણ છે. ફિલ્મની કાસ્ટ અને સ્ટોરી ખૂબ જ સારી છે.’