'ગુંજન સકસેના'માંથી વાંધાજનક સીન્સ ન હટાવ્યા, કરણ જોહરને કર્યો ટ્રોલ
ગુંજન સકસેનામાં જહ્નવી કપૂર
‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’માંથી કેટલાક સીન્સ હટાવવાની માગણી છતાં એ સીન્સ દૂર ન કરવામાં આવતાં કરણ જોહરને લોકો ટ્રોલ કરી રહ્યા છે. ઇન્ડિયન ઍર ફોર્સે ફિલ્મમાંથી કેટલાક સીન્સ અને ડાયલૉગ્સ હટાવવાની માગણી કરી હતી. તેમના મુજબ ઇન્ડિયન ઍર ફોર્સની નેગેટિવ છબી દેખાડવામાં આવી છે. ઇન્ડિયન ઍર ફોર્સે એના માટે ધર્મા પ્રોડક્શન્સ, નેટફ્લિક્સ અને સેન્સર બોર્ડને લેટર લખ્યો હતો. આમ છતાં એ સીન્સ હટાવવામાં નથી આવ્યા. આથી સોશ્યલ મીડિયા યુઝરે તેના પર પ્રહાર કરવાના ચાલુ કર્યા છે. જોકે આ વિરોધ બાદ ગુંજન સકસેનાએ કહ્યું હતું કે ‘મને સાથી ઑફિસર્સ, સુપરવાઇઝર્સ અને કમાન્ડિંગ ઑફિસરનો હંમેશાં સપોર્ટ મળ્યો હતો. આ એક કમર્શિયલ ફિલ્મ છે એથી એમાં ફિક્શન પણ ઉમેરવામાં આવ્યું છે.’
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે ‘ગુંજન સકસેના: ધ કારગિલ ગર્લ’માં કામ કરીને તે વધુ સારી વ્યક્તિ બની ગયો છે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર લીડ રોલમાં છે. પંકજ ત્રિપાઠીએ જાહ્નવીના પિતા અનુપ સકસેનાનો રોલ કર્યો છે. આ વિશે જણાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મેં આ ફિલ્મ રફ કટમાં જોઈ હતી. હું આ ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકો સાથે જોવા માગતો હતો. તમે એવી ફિલ્મો કરો છો જેને લઈને તમને લાગે છે કે આ ફિલ્મો લોકોને પણ ગમશે. તો કેટલીક એટલા માટે પણ કરો છો કારણ કે તમને એ ગમે છે, પછી ભલે એ લોકોને કદાચ નહીં પણ ગમે. ગુંજન સકસેના સ્ટોરી એવી છે જે મને લાગતું હતું કે એ દરેકને ગમશે. ખૂબ જ સરસ રીતે એને લખવામાં આવી છે અને મનોરંજક પણ છે. હું ચાહું છું કે સોસાયટીમાં અનુપ સકસેના જેવા પિતા હોવા જોઈએ. આ રોલ કર્યા પછી તો હું વધુ સારો માણસ બની ગયો છું.’
ADVERTISEMENT