સુશાંત સિંહ રાજપૂતના નિધન અને ટ્રોલિંગથી તૂટી ગયો છે કરણ જોહર
કરણ જોહર અને સુશાંત સિંહ રાજપૂત (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બૉલીવુડમાં અને સોશ્યલ મીડિયામાં સગાવાદના મુદ્દાએ જોર પકડયું છે. ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર કીડ્સ આ ચર્ચાઓ અને સોશ્યલ મીડિયા ટ્રોલિંગનો ભોગ બન્યા છે. આ બધામાં કરણ જોહર પણ બહુ ખરાબ રીતે ઘેરાયો છે. નેપોટિઝમ મુદ્દે કરણ જોહર પર પહેલાં પણ ઘણી વખત હુમલા થયા છે, પરંતુ સુશાંતનાં નિધન બાદ લોકોએ તેને વધારે ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અને સોશ્યલ મીડિયા પર થતા ટ્રોલિંગને લીધે કરણ જોહર તૂટી ગયો છે અને આખી રાત રડયા કરે છે તે બાબતનો ખૂલાસો એક નજીકના મિત્રએ કર્યો છે.
સોશ્યલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહેનારા નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ઈન્સ્ટાગ્રામ પર એકપણ પોસ્ટ નથી કરી. છેલ્લા કેટલાક દિવસોમાં સોશ્યલ મીડિયા પર ઘણાં લોકો દ્વારા કરણને અનફૉલો કર્યો હોવાની ખબર પણ સામે આવી છે. બૉલીવુડ હંગામાના અહેવાલ પ્રમાણે, કરણ જોહરનાં ખાસ મિત્રએ હાલમાં તેની પરિસ્થિતિ વિશે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે, કરણ જોહર સંપૂર્ણ તૂટી ગયો છે. ટ્રોલર્સની વાતોથી તે પહેલાં પ્રભાવિત નહોતો થયો. જેટલું તે સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ થયો છે. સોશ્યલ મીડિયા પર થઈ રહેલી ટ્રોલિંગે તેનાં સ્વાસ્થ્ય પર પણ અસર પાડી છે.
ADVERTISEMENT
અન્ય એક રિપોર્ટનું માનીએ તો, કરણ જોહરના મિત્રએ જણાવ્યું છે કે, કરણ એટલે પણ પરેશાન છે કારણ કે તેના નજીકના લોકો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તેના 3 વર્ષના ટ્વિન્સ બાળકોને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. અનન્યા પાંડે જેવા લોકો સામે પણ નફરત ફેલાઈ રહી છે.
કરણ જોહરના મિત્રનું કહેવું છે કે, કરણ હવે કંઈ જ બોલવાની હાલતમાં નથી. તે લડવાનું ભૂલી ગયો છે અને નસીબ સામે હારેલો વ્યક્તિ લાગે છે. જ્યારે પણ તેની સાથે વાત કરવાની કોશિશ કરવામાં આવે તો તે ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડે છે અને પૂછે છે કે, તેણે એવું તો શું કર્યું છે કે તેને આ બધું ભોગવવું પડી રહ્યું છે.