કન્નડ ટીવી અભિનેતા સુશીલ ગૌડાએ કરી આત્મહત્યા
સુશીલ ગૌડા
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે 2020નું વર્ષ ખરેખર ખરાબ સાબિત થઈ રહ્યું છે. કારણકે ફિલ્મ જગત અને ફૅન્સ હજી તો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના શૉકમાંથી બહાર નથી આવ્યા ત્યા તો વધુ એક અભિનેતાએ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા છે અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ઝટકો લાગ્યો છે. કન્નડ ટેલિવિઝન અભિનેતા સુશીલ ગૌડાએ સાત જૂલાઈના રોજ કર્ણાટકમાં આવેલા હૉમટાઉન મંડયામાં આત્મહત્યા કરી છે. જોકે, અભિનેતાની મોતનું કારણ હજી સુધી સામે નથી આવ્યું.
39 વર્ષીય સુશીલ ગૌડા અભિનેતાની સાથે સાથે ફિટનેસ ટ્રેઈનર પણ હતો. સુશીલે રોમેન્ટિક સિરિયલ 'અંતપુરા'માં અભિયાન કર્યો હતો અને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની જાતને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આગામી ફિલ્મ 'સલગા'માં સુશીલ એક પોલીસકર્મીની ભૂમિકામાં નજરે પડવાનો હતો. આ ફિલ્મમાં અભિનેતા દુનિયા વિજય મુખ્ય ભૂમિકામાં છે.
ADVERTISEMENT
સુશીલ ગૌડાની આત્મહત્યાના સમાચાર મળતા દુ:ખી થયેલા અભિનેતા દુનિયા વિજયે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે, મેં જ્યારે સુશીલને પહેલી વાર જોયો તો મને હીરો જેવો લાગ્યો હતો. ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ અને બહુ જલ્દી તે અમને છોડીને ચાલ્યો ગયો. આત્મહત્યા કરવી એ કોઈ મુશ્કેલીનો ઉપાય નથી. મને લાગે છે કે આ વર્ષે મૃત્યુની પ્રક્રિયા બંધ નહીં થાય. ફક્ત કોરોના વાયરસને લીધે જ મોત થાય છે એવું નથી. લોકો નોકરી ગુમાવી રહ્યાં છે. તેમનામાં વિશ્વાસની અછત છે. આ સમયે મજબુત થઈને રહેવાની જરૂર છે. જેથી આ મુશ્કેલીના સમયમાંથી બહાર આવી શકીએ.