મણિકર્ણિકાને નૅશનલ અવૉર્ડ નહીં મળે તો વિશ્વસનીયતા પર સવાલ થશે :કંગના
કંગના રનૌત (ફાઈલ ફોટો)
કંગના રનોટનું માનવું છે કે જો તેની ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને નૅશનલ અવૉર્ડ નહીં મળે તો અવૉર્ડની વિશ્વસનિયતા પર સવાલ ઊભા થશે. આ ફિલ્મમાં કંગનાએ રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવીને પ્રશંસા મેળવી હતી. કંગનાને આ અગાઉ ‘ફૅશન’, ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ રિટન્ર્સ’ માટે નૅશનલ અવૉર્ડ મળી ચૂક્યો છે. ‘મણિકર્ણિકા...’ને નૅશનલ અવૉર્ડ મળવો જોઈએ એ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું માનું છું કે જો કોઈ કલાકારે અદ્ભુત અભિનય કર્યો હોય અને તેને માન ન આપવામાં આવે તો એ સંસ્થા પ્રતિ સન્માનની લાગણી રહેતી નથી. એથી જો મારી ‘મણિકર્ણિકા...’ને નૅશનલ અવૉર્ડ નહીં મળે તો એની વિશ્વસનિયતા પર સવાલ ઊભા થશે. પરંતુ જો કોઈનું સારું કામ મારા ધ્યાનમાં આવશે તો હું પોતે કહીશ કે મારા કરતાં પણ તેણે સારું કામ કર્યું છે. ગયા વર્ષે તબુજીએ ‘અંધાધુન’માં સારો પર્ફોર્મન્સ આપ્યો હતો. તેમની ભૂમિકાથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. મારા મતે આવતા વર્ષે એ વાત સ્પષ્ટ થશે કે શું ‘મણિકર્ણિકા...’ કરતાં પણ સારો કોઈનો પર્ફોર્મન્સ છે. હું તેમની જરૂર પ્રશંસા કરીશ, પરંતુ મને નથી લાગતું કે એવું કોઈ હોય.’
જયલલિતાનું પાત્ર ભજવવાની ઑફર મળતાં ખુશ છે કંગના
ADVERTISEMENT
તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું પાત્ર ભજવવાની તક મળતાં કંગના રનોટ ખુશ છે અને સન્માનની લાગણી અનુભવી રહી છે. જયલલિતાનું નિધન ૨૦૧૬ની ૫ ડિસેમ્બરે થયું હતું. તેઓ એક જમાનામાં એક અભિનેત્રી તરીકે ખૂબ પ્રસિદ્ધ થયાં હતાં. તેઓ રાજકારણમાં પણ ખૂબ સફળ રહ્યાં હતાં. તેમની છાપ એક ક્રાંતિકારી નેતા તરીકેની હતી. ‘મદ્રાસપટ્ટીનમ’ના ડિરેક્ટર અને સાઉથના ફેમસ ફિલ્મ-મૅકર વિજય તેમની બાયોપિક બનાવવાના છે જે તમિલ અને હિન્દી એમ બે ભાષામાં બનશે.
આ પણ વાંચોઃ કેમ કંગનાને હવે બકવાસ લાગે છે ક્વીનની સ્ક્રિપ્ટ ?
જયલલિતાનું પાત્ર સાકાર કરવાની તક મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘જયલલિતાજી સદીના સૌથી સફળ મહિલાઓમાંના એક છે. તેઓ સુપરસ્ટાર હતાં અને બાદમાં એક આદર્શ પૉલિટિશ્યન બન્યાં હતાં. મેઇનસ્ટ્રીમ ફિલ્મ માટે આ એક ગ્રેટ કન્સેપ્ટ છે. આ મેગા પ્રોજેક્ટ સાથે જોડાઈને હું સન્માન અનુભવી રહી છું.’