રામ મંદિર પર બનશે ફિલ્મ 'અપરાજિતા અયોધ્યા', કંગના રનોટ કરશે ડાયરેક્ટ
ફાઈલ તસવીર
કંગના રનોટ 'મણિકર્ણિકા: ધ ક્વિન ઓફ ઝાંસી' બાદ હવે ફિલ્મ 'અપરાજિતા અયોધ્યા' ડાયરેક્ટ કરશે. ફિલ્મની સ્ટોરી રામ મંદિરના વિવાદ સાથે સંબંધિત છે. ફિલ્મની સ્ક્રિપ્ટ 'બાહુબલી'ના રાઈટર કે.વી. વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. આ ફિલ્મ કંગના ફક્ત ડાયરેક્ટ જ નથી કરી રહી સાથે પ્રોડયુસ પણ કરી રહી છે.
આ ફિલ્મ અંગે કંગનાએ કહ્યું હતું કે, 'અપરાજિતા અયોધ્યા' ડાયરેક્ટ કરવાનો પહેલાં મારો કોઈ પ્લાન નહોતો. હું ફક્ત ફિલ્મ પ્રોડયુસ જ કરવાની હતી અને બીજું કોઈ ફિલ્મને ડાયરેક્ટ કરત. કારણકે હું એ સમયે બહુ વ્યસ્ત હતી. પરંતુ કે.વી. વિજયેન્દ્રએ જે પ્રકારની સ્ક્રિપ્ટ લખી છે એમાં એવી ઐતિહાસિક વાતો છે જેના પર હું પહેલાં પણ કામ કરી ચૂકી છું. એટલે મારા પાર્ટનર્સ ઈચ્છતા હતા કે હું જ આ ફિલ્મને ડાયરેક્ટ કરું. મારા માટે આ ફિલ્મનો વિષય કોઈ વિવાદનો નથી. મને લાગે છે કે, આ વાર્તા પ્રેમ, વિશ્વાસ, એકતા અને કદાચ તેના કરતાં પણ વધુ છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ રંગભેદ-જાતિવાદના મુદ્દે કંગનાએ બૉલીવુડને નિશાન બનાવ્યું છે. કંગાનાએ કહ્યું હતું કે, ફેરનેસ ક્રીમની જાહેરાતો કરતા ભારતીયો કાળા લોકો સાથે થતી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવે છે આ દંભ જ છે. પાલઘરમાં સાધુઓના મૉબ લિન્ચિંગ વખતે ચુપ રહેલા બૉલીવુડ સેલેબ્ઝ અમેરિકાના સામાજિક મુદ્દા પર અવાજ ઉઠાવી રહ્યાં છે.