કરણ જોહરનો પદ્મશ્રી પાછો લઈ લેવા સરકારને વિનંતી કરી કંગનાની ટીમે
કંગના રનોટ
કરણ જોહરનો પદ્મશ્રી પાછો લઈ લેવા સરકારને વિનંતી કરી છે કંગના રનોટની ટીમે. કંગના રનોટની ટીમ દ્વારા ગઈ કાલે સરકારને આવી વિનંતી કરવામાં આવી હતી. કંગનાની ટીમે ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’ વિરુદ્ધ કમેન્ટ કરી હતી. ગુંજન સકસેનાની કોર્સ-મેટ ફ્લાઇટ લેફ્ટનન્ટ શ્રીવિદ્યા રંજને કરેલા ટ્વીટ બાદ કંગનાએ આ વાતને આગળ વધારી છે. આ ટ્વીટમાં કહેવામાં આવ્યું હતું કે સકસેના નહીં, પરંતુ શ્રીવિદ્યા રંજન કારગિલ દરમ્યાન પહેલી પાઇલટ હતી. તેમ જ એક દૃશ્યમાં જે દેખાડવામાં આવ્યું છે કે ઍરફોર્સ માટે તે ફિટ છે કે નહીં એ માટે પંજો લડાવવામાં આવતો એ ખોટું છે. ત્યાં એવું કંઈ નહોતું કરવામાં આવ્યું. આ માટે કંગનાની ટીમે ટ્વીટ કર્યું હતું કે ‘હું સરકારને વિનંતી કરું છું કે તે કરણ જોહરને આપેલો પદ્મશ્રી પાછો લઈ લે. તેણે ઇન્ટરનૅશનલ લેવલ પર મને ધમકાવીને ઇન્ડસ્ટ્રી છોડી દેવા કહ્યું હતું. તે સુશાંતની કરીઅરમાં પણ અવરોધ બન્યો હતો, ઉરી હુમલા દરમ્યાન તેણે પાકિસ્તાનને સપોર્ટ કર્યો હતો અને હવે ઍન્ટિનૅશનલ ફિલ્મ બનાવી આપણી આર્મીને અપમાનિત કરી રહ્યો છે.’