ઇન્ડિયન ટીમને વિશ્વાસ હતો કે તેઓ વર્લ્ડ કપ નહીં જીતી શકે: કબીર ખાન
કબીર ખાનનું કહેવું છે કે 1983માં ભારતે જીતેલો વર્લ્ડ કપ એક કરિશ્મા સમાન હતો અને એ સમયે ટીમને વિશ્વાસ હતો કે તેઓ આ ટુર્નામેન્ટ નહીં જીતી શકે. આ સ્ટોરી વિશે વિસ્તારમાં તેને શ્રીકાંત પાસેથી જાણવા મળ્યું હતું. 1983માં ભારતે પહેલી વાર જીતેલા વર્લ્ડ કપની સ્ટોરી પરથી કબીર ખાને ‘83’ બનાવી છે. આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહે ભજવ્યું છે. આ વર્લ્ડ કપમાં ઇન્ડિયન ટીમે અડધી ટુર્નામેન્ટ દરમ્યાનની જ રિટર્ન ટિકિટ બુક કરાવી દીધી હતી. તેમ જ કેટલાક પ્લેયરનાં ત્યારે નવાં-નવાં લગ્ન થયાં હતાં એટલે તેમણે ત્યાંથી ન્યુ યૉર્કની ટિકિટ બુક કરાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમને પોતાના પર એટલો ભરોસો હતો કે તેઓ ટુર્નામેન્ટમાં અડધેથી જ બહાર થઈ જશે. આ માટે 22 જૂને સેમીફાઇનલ મૅચ હતી અને ઇન્ડિયન ટીમે 20 જૂન માટેની એટલે કે ગ્રુપ મૅચ બાદની પોતાની ટિકિટ બુક કરાવી દીધી હતી. આ વિશે વાત કરતાં કબીર ખાને કહ્યું હતું કે ‘આ સ્ટોરી મને શ્રીકાંતે બતાવી હતી કે તેમને એટલો વિશ્વાસ હતો કે તેઓ વર્લ્ડ કપ નહીં જીતી શકે. શ્રીકાંતનું ટીમમાં સિલેક્શન થવાથી તે ખુશ હતો અને વર્લ્ડ કપ પહેલાં જ માર્ચમાં તેમનાં લગ્ન થયાં હતાં. તેમને જ્યારે સિલેક્શનની ખબર પડી ત્યારે તેમણે વિચાર્યું હતું કે થોડી મૅચ રમીને ત્યાંથી થોડા પૈસા ઉમેરી ન્યુ યૉર્ક ફરી આવશે. તેમની સાથે અન્ય પ્લેયર્સ પણ જોડાવાના હતા અને તેમણે તેમની પત્નીઓને કહ્યું હતું કે ગ્રુપ મૅચ બાદ તેઓ ફરવા માટે નીકળી જશે. સાત ખેલાડીઓએ લંડનથી ન્યુ યૉર્કની ટિકિટ ઍડ્વાન્સમાં ખરીદી લીધી હતી. તેઓ જેમ-જેમ જીતતા ગયા તેમ-તેમ તેમણે આ ટુર્નામેન્ટને સિરિયસલી લેવાનું શરૂ કર્યું હતું અને ટિકિટ કૅન્સલ કરાવતા ગયા હતા.’
આ ફિલ્મ વિશે વાત કરતાં કબીરે કહ્યું હતું કે ‘આ ત્યાર સુધીની સૌથી મોટી અન્ડરડૉગ સ્ટોરી છે, કારણ કે બધાની સાથે પ્લેયર્સ પણ એવું માનતા હતા કે તેઓ વર્લ્ડ કપ નહીં જીતી શકે. તેમણે સારું પ્રદર્શન કરવાની સાથે ઇતિહાસમાં તેમનું નામ પણ બનાવી દીધું હતું. મેં જ્યારે આ સ્ટોરી ડીટેલમાં સાંભળી ત્યારે મને ખૂબ જ શાનદાર લાગી હતી.’