શબાના આઝમીની તબિયત હવે સુધારા પર છે : જાવેદ અખ્તર
જાવેદ અખ્તર
જાવેદ અખ્તરે જણાવ્યું હતું કે શબાના આઝમીની તબિયત હવે સુધારા પર છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઇવે પર તાજેતરમાં જ તેમનો ઍક્સિડેન્ટ થયો હતો. ત્યાર બાદ તેમને સારવાર માટે નવી મુંબઈની એમજીએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. બાદમાં તેમને મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમના ડ્રાઇવર વિરુદ્ધ રૅશ ડ્રાઇવિંગનો કેસ નોંધવામાં આવ્યો છે.
ADVERTISEMENT
શબાના આઝમીના ઍક્સિડન્ટના સમાચાર મળતાં જ સૌકોઈ તેમના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા લાગ્યા છે. તમામ શુભચિંતકોનો આભાર વ્યક્ત કરતાં ટ્વિટર પર જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું હતું કે ‘અમારો પરિવાર તમામ ફ્રેન્ડ્સ અને શુભચિંતકોએ દાખવેલી ચિંતા, કાળજી અને શબાના આઝમી માટે કરેલા મેસેજિસને લઈને આભાર વ્યક્ત કરે છે. સૌને જણાવવા માગીએ છીએ કે તેની તબિયત હવે સુધારા પર છે અને કદાચ ટૂંક સમયમાં જ તેને નૉર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે.’