જાનવરોને અડૉપ્ટ કરવા સાથે લોકોની માનસિક સ્થિતિ જાણવી જરૂરી: રિચા ચઢ્ઢા
રિચા ચઢ્ઢા
કોરોના વાઇરસના ફેલાવા બાદ લોકોએ પોતાનાં પાલતુ પશુઓને ઘરની બહાર ધકેલી દીધાં હતાં એને લઈને રિચા ચઢ્ઢાએ જણાવ્યું કે પશુઓને અપનાવતાં પહેલાં લોકોની માનસિક સ્થિતિની ચકાસણી કરવી જરૂરી છે. રિચા જાનવરો માટે ‘અડૉપ્ટ ઍન્ડ નૉટ શૉપ’ કૅમ્પેન ચલાવી રહી છે. હાલની સ્થિતિમાં જે લોકો પોતાનાં પેટ્સને તરછોડી રહ્યા છે તેમના વિશે રિચાએ કહ્યું હતું કે ‘તેઓ ઇડિયટ્સ છે. જો તમારી ફૅમિલીમાં કોઈને કોરોના થાય તો શું તમે તેને ઘરની બહાર ધકેલી દેશો? મને લાગે છે કે પાલતુ પશુઓને અપનાવતાં પહેલાં લોકોની માનસિક સ્થિતિ વિશે જાણવું જરૂરી છે, ઠીક એ રીતે જે રીતે આપણે બાળકને અડૉપ્ટ કરીએ છીએ. એ દરમ્યાન અનેક કઠિન નિયમોનું પાલન કરવામાં આવે છે. એથી મને લાગે છે કે પશુઓને અપનાવતી વખતે પણ એનું પાલન કરવું જોઈએ.’
કોરોના પાળેલાં પ્રાણીઓથી ફેલાય છે એવી અફવા ફેલાતાં અમુક લોકોએ પોતાનાં પેટ્સને તરછોડી દીધાં છે. એ વિશે રિચાએ કહ્યું કે ‘પશુઓને ઘરમાંથી કેવી રીતે બહાર કાઢી મુકાય? માત્ર ઍનિમલ-લવર હોવાથી કંઈ નથી થવાનું. આવા સમયમાં માનવતા પણ દેખાડવી જોઈએ. આ સમય એકબીજાના પડખે ઊભા રહેવાનો છે. આ ધરતી દરેકને માટે છે. માત્ર મનુષ્યનો એના પર અધિકાર નથી. જો માનવ હક જમાવવા માંડે અને પોતે આ ઘરતીનો રાજા છે એવું વિચારતો હશે તો પછી કુદરત તેને પૂરા બળ સાથે પછાડશે અને સાથે જ એકાદ-બે પાઠ પણ ભણાવશે. આજે તો વાઇરસના ફેલાવાને કારણે દુનિયાઆખી પોઝ થઈ ગઈ છે. પ્રકૃતિને આપણી જરૂર નથી, આપણને આ કુદરતની જરૂર છે. આપણે એનો એક ભાગ છીએ.’