ઇશિતાનું પાત્ર મારી અંદરથી કાઢવું ખૂબ મુશ્કેલ છે : દિવ્યાંકા ત્રિપાઠી
દિવ્યાંકા ત્રિપાઠી દહિયાનું કહેવું છે કે ઇશિતાનું પાત્ર તેની અંદરથી કાઢવું ખૂબ મુશ્કેલ છે. સ્ટાર પ્લસ પર આવતી ‘યે હૈં મોહબ્બતેં’ ૬ વર્ષ બાદ બંધ થવા જઈ રહી છે અને એની જગ્યાએ સ્પિન-ઑફ ‘યે હૈં ચાહતેં’ આવશે. ‘યે હૈં મોહબ્બતેં’નો છેલ્લો એપિસોડ આજે રિલીઝ કરવામાં આવશે અને ગુરુવારથી ‘યે હૈં ચાહતેં’ શરૂ કરવામાં આવશે.
આ શોનો ધી એન્ડ થતાં દિવ્યાંકાએ લેટર લખીને કહ્યું હતું કે ‘આપણે બધા લાઇફમાં એક એવી ક્ષણે આવીને ઊભા રહી જઈએ છીએ જ્યારે આપણે નક્કી નથી કરી શકતા કે આપણે ખુશ થવું જોઈએ કે દુખી. હું જ્યારે ‘યે હૈં મોહબ્બતેં’ને અલવિદા કહી રહી છું ત્યારે મારા માટે એવી જ પરિસ્થિતિ ઊભી થઈ છે. ઇશિતાનું પાત્ર મારા માટે એક ઠંડે હવા કે ઝોંકે કી તરહ હૈ, જેણે મને લાઇફમાં ઘણા અહેસાસ કરાવ્યા છે. મારા વ્યક્તિત્વનાં અલગ-અલગ રૂપથી હું આ પાત્રને કારણે વાકેફ થઈ છું. મને ક્યારે ઇશિતા સાથે પ્રેમ થઈ ગયો એની મને જાણ નથી તેમ જ આ પાત્રને મારી અંદરથી કાઢવું ખૂબ મુશ્કેલ છે. હું જ્યારે પણ આપણા દેશના કોઈ પણ ખૂણામાં અથવા તો વિદેશમાં ગઈ છું ત્યારે લોકોએ મને ઇશિતા કહીને બોલાવી છે. મને મારી લાઇફ અને પ્રેમ આ શો દ્વારા જ મળ્યાં છે. આનાથી વધુ બીજું હું શું ઇચ્છતી હોઈ શકું?’ ‘યે હૈં મોહબ્બતેં’ની જગ્યાએ હવે એની સ્પિન ઑફ ‘યે હૈં ચાહતેં’ શરૂ થશે અને એના કેટલાક એપિસોડમાં પણ દિવ્યાંકા જોવા મળશે.