‘મટરુ કી બિજલી કા મન્ડોલા’ સાઇન કર્યા બાદ ગભરાઈયેલા ઇમરાને કામ કરવાની ના પાડી હતી
બાંદરામાં જ જન્મેલો અને ઊછરેલો ઇમરાન ખાન પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’માં પોતાની અત્યાર સુધીની ઇમેજથી સાવ અલગ ટિપિકલ હરિયાણવી જાટનો રોલ ભજવી રહ્યો છે. જોકે શરૂઆતના તબક્કે તો ઇમરાન આ પાત્ર વિશે વાંચીને એટલો ગભરાઈ ગયો હતો કે આ ફિલ્મ સાઇન કર્યાના બીજા જ દિવસે તે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ પાસે આ ફિલ્મ માટે ના પાડવા પહોંચી ગયો હતો, કારણ કે તેને લાગ્યું હતું કે તે આ પાત્રને ન્યાય નહીં આપી શકે.
આ વિશે વાત કરતાં ઇમરાન કહે છે, ‘આ વાત સાચી છે. મેં આ ફિલ્મ સાઇન તો કરી લીધી હતી, પણ પછી સ્ક્રિપ્ટમાં મેં જ્યારે મારા હરિયાણવી પાત્ર વિશે વાંચ્યું તો મને લાગ્યું કે મેં આ ફિલ્મમાં કામ કરવાની હા પાડીને ભૂલ કરી છે. એને કારણે હું તરત બીજા દિવસે વિશાલસર પાસે ગયો અને કોઈ બીજાને સાઇન કરવાની વિનંતી કરી હતી. જોકે મારા સદ્નસીબે તેઓ ન માન્યા અને આખરે મારે જ એ ફિલ્મ કરવી પડી.’
દિલ્હીના થિયેટર-કોચે આ રોલ માટે આપી તાલીમ
ઇમરાન ખાન પોતાની આગામી ફિલ્મ ‘મટરુ કી બિજલી કા મન્ડોલા’માં હરિયાણવી જાટનો રોલ કરી રહ્યો છે. ઇમરાન માટે આ રોલ કરવાનું બિલકુલ સરળ નહોતું. જોકે તેને એ માટે તૈયાર કરવાનો યશ જાય છે દિલ્હીના થિયેટર-કોચ એન. કે. શર્માને.
આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘વિશાલ ભારદ્વાજે તેના ખાસ મિત્ર એન. કે. શર્માને આ ફિલ્મ માટે ઇમરાનને તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. એન. કે. શર્માએ તેને હરિયાણવી જાટ માટેની બૉડી-લૅન્ગ્વેજ સમજાવી હતી. ઇમરાને પણ પોતાના પ્રયાસોમાં કચાશ નહોતી રાખી અને બનતો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. આ ટ્રેઇનિંગ માટે ઇમરાન લાંબો સમય દિલ્હીમાં રહ્યો હતો.’