આર્યામાં મને જવાહરના પાત્ર માટે પસંદ કર્યો એની મને નવાઈ લાગી:નમિત દાસ
નમિત દાસ
નમિત દાસનું કહેવું છે કે તેના આગામી શો ‘આર્યા’ માટે તેને જવાહરના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો એની તેને પણ નવાઈ લાગી હતી. આ શોમાં તેની સાથે સુસ્મિતા સેન, ચંદ્રચૂડ સિંહ, સિકંદર ખેર, જયંત ક્રિપલાણી, સોહેલા કપૂર, સુગંધા ગર્ગ જેવા ઘણા ઍક્ટર્સ છે. ‘આર્યા’ને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. આ એક હૉટસ્ટાર સ્પેશ્યલ્સ સિરીઝ છે જેને રામ માધવાણી, સંદીપ મોદી અને વિનોદ રાવત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ શોમાં ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ડેઇલી બિઝનેસ હોય છે અને લોકોને ધોખો આપવો એક સામાન્ય વસ્તુ છે. ડચ ક્રાઇમ શો ‘પેનોઝા’ની આ ઑફિશ્યલ રીમેક છે જે આજે રિલીઝ થઈ રહી છે. આ શોમાં નમિત દાસ જવાહરનું પાત્ર ભજવી રહ્યો છે જે આર્યાથી એકદમ વિરોધાભાસી હોય છે. આ પાત્ર વિશે વાત કરતાં નમિત દાસે કહ્યું હતું કે ‘મેં જ્યારે સ્ક્રિપ્ટ વાંચી હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે મારે જવાહરનું પાત્ર ભજવવાનું છે. મને ખૂબ જ નવાઈ લાગી હતી કે મને શું કામ આ પાત્ર ઑફર કરવામાં આવ્યું છે, કારણ કે મેં મારી લાઇફમાં ભજવેલાં તમામ પાત્રોથી આ એકદમ અલગ હતું. આર્યાના જીવનનાં જે પણ મૂલ્યો છે એનાથી જવાહર એકદમ વિરોધાભાસી છે અને એથી જ મને આ પાત્ર એક્સાઇટિંગ લાગ્યું હતું. જવાહર એક આઉટસાઇડર હોય છે અને ફૅમિલીનો હિસ્સો બનવા માટે વલખાં મારતો હોય છે. જોકે તે હંમેશાં એવી પરિસ્થિતિમાં મુકાય છે જ્યાંથી સ્ટોરી આગળ વધે છે.’