કાર્તિક આર્યને કહ્યું હું એટલોબધો તો વ્યસ્ત હતો કે....
કાર્તિક આર્યન એટલો તો બિઝી બની ગયો હતો કે ફિલ્મનાં સેટ પર કઈ રીતે સમયસર પહોંચી શકાશે એની પણ તેને જાણ નહોતી. ‘પ્યાર કા પંચનામા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર કાર્તિક હાલમાં બૅન્કેબલ ઍક્ટર બની ગયો છે. તેની ‘પતિ, પત્ની ઔર વોહ’ને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ફિલ્મોમાં પોતાની શરૂઆતથી માંડીને અત્યારે જે સ્ટારડમ તેને મળ્યુ છે એને કારણે તે ખૂબ બિઝી પણ બની ગયો છે. પહેલાનો સમય યાદ કરતાં કાર્તિક આર્યને કહ્યું હતું કે ‘બે વર્ષ પહેલા મારી પાસે ખૂબ સમય હતો. હું ફ્રેન્ડ્સ સાથે કૉફી અને ડિનર પર પણ જતો હતો. જોકે હવે મને ચોવીસ કલાક પણ ઓછા પડે છે. મારી પાસે સમયની અછત હોવાને કારણે લોકોને લાગે છે કે હું બદલાઇ ગયો છું. એથી મારો મોટા ભાગનો સમય તો તેમને સમજાવવામાં જાય છે કે મારી પાસે સમયનો અભાવ છે. એક સમય તો એવો પણ હતો કે મને એ વાતની ખાતરી નહોતી કે હું ફિલ્મનાં સેટ પર પહોંચી શકીશ કે નહીં. હું ‘દોસ્તાના 2’નું શૂટિંગ કરતો હતો અને એની સાથે જ ‘પતિ, પત્ની ઔર વોહ’નું પ્રમોશન પણ સાથે-સાથે કરતો હતો. આવી સ્થિતિ આવશે એવો મને સ્વપ્નેય ખ્યાલ નહોતો. હું પોતાને સતત બિઝી રાખવા માગુ છું.’
હું ઘર-ઘરમાં જાણીતું નામ નહોતો. લોકો મને મારા કૅરૅક્ટરનાં નામે અથવા તો એવા છોકરા તરીકે ઓળખતા હતાં કે હું ફાસ્ટ બોલતો ઍક્ટર છું. મને લોકો ‘મોનોલૉગ ગાઇ’ તરીકે પણ જાણતા હતાં. લોકોનાં દિમાગમાં કાર્તિક નામ નહોતું બેસતું. જોકે બાદમાં ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’નું કૅરૅક્ટર લોકોનાં દિમાગમાં એવુ તો બેસી ગયું કે દરેક લોકો તેને પોતાનાં ઘરમાં બોલાવવા માગતા હતાં. - કાર્તિક આર્યન